તળાજા


ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે.

તળાજાની બૌદ્ધ ગુફાઓ

અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ અને તેના ઉપરથી ‘તળાજા’ નામ થયું જણાય છે. તળાજા ગામનો ઉલ્લેખ મહેર રાજા જગમલના ઈ. સ. 1207ના દાન-શાસનમાં કરવામાં આવ્યો છે. હાથસણી(જિ. ભાવનગર)ના વિ. સં. 1386(ઈ. સ. 1330)ના શિલાલેખમાં તાલધ્વજનો વહીવટ રાજા મહિષે મહાનન્દના પુત્ર ઠેપક નામના મહેરને સોંપ્યો હોવાનું જણાયું છે. તળાજાથી ઘોઘા સુધીના દરિયાકાંઠે આવેલો પ્રદેશ ઘોઘાબારા તરીકે ઓળખાય છે. કિનારાના મેદાનની જમીન કાળી અને ફળદ્રૂપ છે. દરિયાકિનારો 10 કિમી. કે તેથી ઓછો દૂર હોઈને આબોહવા સમધાત છે. સરેરાશ વાર્ષિક વરસાદ 560 મિમી. છે. બાજરી, મગફળી, મરચાં, શેરડી, જીરું વગેરે મુખ્ય પાક છે. ડુંગળીનો વિપુલ પાક થાય છે. શાકભાજી તથા ડુંગળીની નિકાસ થાય છે. શેત્રુંજીબંધ અને કૂવા દ્વારા સિંચાઈ થાય છે. તળાજા આજુબાજુનાં ગામો માટેનું વેપારી મથક છે. અહીં તેલમિલો અને બિસ્કિટનાં કારખાનાં છે. હીરા ઘસવાનો ઉદ્યોગ આસપાસનાં ગામો અને તળાજામાં વિકસતો જાય છે. તળાજા નજીકના અલંગને કારણે ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે તથા ઑક્સિજન ગૅસનાં કારખાનાં અને રોલિંગ મિલો ઊભાં થયાં છે. તાલુકાના માખણિયા ગામે ખાંડનું કારખાનું છે. તળાજા ભાવનગર–તળાજા–મહુવા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. લખપતથી ઉમરગામ સુધીના તટીય ધોરી માર્ગ (‘કોસ્ટલ હાઈવે’) દ્વારા તે મહુવા અને ભાવનગર સાથે અને એસ. ટી. દ્વારા ભાવનગર, મહુવા, જેસર, પાલિતાણા, સાવરકુંડલા, અમદાવાદ વગેરે ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. 10 કિમી. દૂર આવેલા સરતાનપુર બંદરેથી ડુંગળી, બાજરી, તેલ, શાકભાજી વગેરેની નિકાસ થાય છે અને ઇમારતી લાકડું, વિલાયતી નળિયાં અને કપાસિયા આયાત થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તળાજા, પૃ. 745 અથવા જુઓ https://gujarativishwakosh.org/તળાજા/)