દરવાનસિંહ નેગી


જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.