ધીરેન્દ્ર ગાંગુલી


જ. 26 માર્ચ, 1893 અ. 18 નવેમ્બર, 1978

એક સફળ ઉદ્યોગપતિ, હિન્દી તથા બંગાળી સિનેજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા-નિર્દેશક તથા લેખક. જેમણે અનેક ફિલ્મનિર્માણ કંપનીઓની સ્થાપના કરી. વિશેષ કરીને એ સમયમાં રમૂજી અભિનય તથા ફિલ્મો માટે એમને ઓળખવામાં આવતા હતા. તેમણે કૉલકાતામાં શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય કલા શાળાના મુખ્ય અધ્યાપક બન્યા અને શિક્ષણજગતમાં કારકિર્દી શરૂ કરી. દરમિયાન તેમણે ‘ભાવ કી અભિવ્યક્તિ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં મેકઅપની કમાલથી પોતાનાં વિવિધ સ્વરૂપનાં ચિત્રો એમાં પ્રકાશિત કર્યાં હતાં. પોતાની આ કલા એમણે બ્રિટિશ ભારત તથા આઝાદ ભારતના સી.આઈ.ડી. અધિકારીઓને શિખવાડી. ત્યારબાદ એમનું આ પુસ્તક નિર્માતા જે. એફ. મદનના ધ્યાનમાં આવ્યું અને ફિલ્મજગતમાં યોગદાન આપવા માટે એમને તક મળી. 1918માં ઇન્ડો-બ્રિટિશ કંપની શરૂ કરી. અહીં હૈદરાબાદના નિઝામની મદદથી એમણે ફિલ્મ સ્ટુડિયો તથા સિનેમાઘર પણ શરૂ કર્યાં. ત્યારબાદ ધીરેન્દ્ર ગાંગુલીના નિર્માણ અને નિર્દેશનમાં ફિલ્મ ‘રઝિયા બેગમ’ પ્રકાશિત થઈ. જેમાં મુસલમાન રાણીને પરજાતિના ગુલામ સાથે પ્રેમ થતો બતાડવાના ગુના બદલ નિઝામે એમને હૈદરાબાદની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ કૉલકાતા પાછા ફરીને લોટસ ફિલ્મ કંપની શરૂ કરી, ન્યૂ થિયેટર્સ સાથે પણ ઘણું કામ કર્યું. પોતાની ફિલ્મી કારકિર્દીમાં એમણે અનેક ફિલ્મોનું નિર્માણ, નિર્દેશન, લેખન કર્યું અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મજગતમાં એમણે સિનેજગતનાં શરૂઆતનાં વર્ષોમાં પાયાનું કામ કર્યું.  ફિલ્મજગત એમને ધીરેન ગાંગુલીના હુલામણા નામથી જાણતું હતું. હિન્દી સિનેમાના એમના યોગદાન બદલ ભારત સરકારે 1974માં એમને પદ્મભૂષણ અને 1975માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.