પુનિત મહારાજ


જ. ૧૯ મે, ૧૯૦૮ અ. ૨૭ ઑગસ્ટ, ૧૯૬૨

સેવાપરાયણ સંત, લોકભજનિક પુનિત મહારાજનો જન્મ ધંધૂકામાં શંકરભાઈ તથા લલિતાબહેનને ત્યાં થયો હતો. છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક સુધી જ અભ્યાસ કરી શક્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરીએ લાગ્યા. માતાથી હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ધંધૂકા જઈ ‘ગર્જના’ દૈનિકમાં કારકુની કરી, આડકતરી રીતે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી સાથે ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક અને ક્લાર્કની  નોકરી પણ કરી. માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કાવ્યસર્જનનાં બીજ રોપાયાં. કાવ્યસર્જનની સરવાણી ફૂટી. રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. નિષ્ઠાપૂર્ણ અભ્યાસ અને લગનના પરિણામે ભજન અને આખ્યાનોની રચના થવા માંડી. એમના જીવન દરમિયાન એમણે ૩૫૦૦થી વધુ ભજનો, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરિંસહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો, ‘નવધાભક્તિ’ના ૧થી ૧૧ ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંતકથાઓ એમ બધા મળીને ૬૦ જેટલા ગ્રંથો આપ્યા છે. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને તરબોળ કરી દેતા. ભાખરીદાન, મફત રોગનિદાન યજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ તેમની માનવસેવા અને સમાજસેવાનાં ઉત્તમ ઉદાહરણ છે. તેમણે અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટનો સ્વીકાર કર્યો નહોતો કે ખર્ચ લઈને ભજન નહોતાં કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા મંડળી સાથે  ચાલી નીકળતા અને સાથે સાથે માનવસેવાનાં કામો અને રાહતકામો કરતા. તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.