જ. ૧૮ મે, ૧૮૫૩ અ. ૧૨ જુલાઈ, ૧૯૧૨

બહેરામજી મલબારી ભારતીય કવિ, લેખક અને સમાજસુધારક હતા, જેઓ મહિલાઓના અધિકારોના રક્ષણ અને બાળલગ્ન સામેની તેમની પ્રવૃત્તિઓ માટે તેમના પ્રખર હિમાયત માટે જાણીતા હતા. બહેરામજી મલબારીનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ પારસી કારકુન ધનજીભાઈ મહેતા અને ભીખીબાઈના પુત્ર હતા. તેમને મેરવાનજી નાનાભાઈ મલબારી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. મેરવાનજી માલાબાર કિનારે ચંદનનાં લાકડાં અને મસાલાનો વેપાર કરતા હતા, તેથી તેમનું નામ ‘મલબારી’ પડ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ હોવાથી મલબારીએ કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૮૭૫ની શરૂઆતમાં તેમણે ગુજરાતીમાં કવિતાઓનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ૧૮૭૭માં ‘The Indian Muse in English Garb’ નામનું પ્રકાશિત થયું, જેના દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. તેમનો ઝોક સાહિત્ય તરફ પણ વિશેષ હતો. પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંને ભાષામાં કાવ્યો રચ્યાં. કોઈક સમયે, મલબારીએ બૉમ્બે (હાલનું મુંબઈ) શહેરમાં સ્થળાંતર કર્યું. ૧૮૮૦માં મલબારી ‘The Indian Spectator’ નામના પત્રના સંપાદક બન્યા અને વીસ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું અને તેના માધ્યમથી ઘણા સામાજિક મુદ્દાઓને ઉઠાવ્યા. તેમણે ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘ધ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લિશ ગેર્બ’ (૧૮૭૭), ‘ધ ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’ (૧૮૯૩) અને ‘ગુજરાત ઍન્ડ ગુજરાતીઝ’ (૧૮૮૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે બાળલગ્નને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થાની માંગ કરી. તેમના પ્રયત્નોથી The Age of Consent Act ૧૮૯૧ પસાર થયો, જેના દ્વારા છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષની કરાઈ. મલબારીએ ભારતીય સમાજસુધારણા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવ્યું. તેમણે ઇંગ્લૅન્ડની યાત્રા કરી અને ત્યાં ભારતીય મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. બહેરામજી મલબારીએ જીવનના અંત સુધી લેખન અને ભાષણો દ્વારા સમાજસુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આત્મકથા ‘The Life and Work of Behramji M. Malabari’ તેમના વિચારો અને યોગદાનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૦૧માં તેઓ માસિક ઈસ્ટ ઍન્ડ વેસ્ટના સંપાદક બન્યા, જે પદ તેઓ ૧૨ જુલાઈ, ૧૯૧૨ના રોજ સિમલામાં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી સંભાળતા રહ્યા. તેમના મૃત્યુ પછી પણ ભારતીય સમાજસુધારણા અને સ્ત્રીઅધિકારના આગવા યોદ્ધા તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
મયંક ત્રિવેદી