યહૂદી ધર્મગુરુની આસપાસ શિષ્યો વીંટળાઈને બેઠા હતા. એમની વચ્ચે જ્ઞાનચર્ચા ચાલતી હતી. ધર્મગુરુએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘હે શિષ્યો, હવે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ શરૂ થયો છે, એ તમે ક્યારે કહી શકો ? અંધારાએ વિદાય લીધી છે અને અજવાળાનો ઉઘાડ થયો છે એવું તમને ક્યારે લાગે છે ?’ ધર્મગુરુનો આવો પ્રશ્ન સાંભળીને પ્રથમ તો શિષ્યો આશ્ચર્ય પામ્યા. આવો તે પ્રશ્ન હોય ! રાત પૂરી થાય છે અને દિવસ ઊગે છે એ તો રોજની બાબત છે. વ્યક્તિએ વ્યક્તિના અનુભવની વાત છે. એનો ઉત્તર આપવો કઈ રીતે ? એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વહેલી સવારે દૂરથી પ્રાણીઓ આવતાં હોય અને એમાં બકરી કોણ છે અને ઘેટું કોણ છે, એનો ભેદ પારખી શકીએ, ત્યારે સવાર પડી કહેવાય.’ ધર્મગુરુએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું, ‘કોઈ બીજો શિષ્ય મારા પ્રશ્નનો ઉત્તર આપશે ખરો ?’ બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આસપાસ વૃક્ષોની વનરાજી હોય. એના ભણી જ આંખો માંડી હોય અને પછી ધીરે ધીરે પ્રકાશ પથરાતાં અમને અંજીર અને પીચનાં ઝાડ વચ્ચેનો તફાવત નરી આંખે દેખાય ત્યારે સમજવું કે બસ, સવાર પડી ગઈ છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ દેખાય ત્યારે સવાર પડી હોય એમ લાગે છે.’ તો કોઈ શિષ્યએ કહ્યું, ‘ખુલ્લા આકાશ નીચે સૂતા હોઈએ અને આંખમાં પહેલું સૂર્યકિરણ પડે ત્યારે એમ લાગે કે બસ, હવે સવાર પડી ગઈ.’ શિષ્યોના જવાબથી પણ ગુરુને સંતોષ થયો નહીં. અંતે થાકીને શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી, અમારી વાત તમે સ્વીકારતા નથી, તો તમે જ અમને સમજાવો.’ યહૂદી ધર્મગુરુ બોલ્યા, ‘મારા પ્રિય શિષ્યો, તમે આ જગતની કોઈ પણ સ્ત્રીને તમારી ભગિનીના સ્વરૂપમાં જુઓ અને પુરુષને તમારા બંધુના રૂપે જુઓ, ત્યારે માનજો કે હવે સાચો ઉજાસ ફેલાયો છે. બાકી તો ભરબપોરે પણ અંધારું જ છે એમ માનજો. દિવસ ઊગ્યો છે એવું સહેજે માનશો નહીં.’
કુમારપાળ દેસાઈ
