જ. 16 માર્ચ, 1693 અ. 20 મે, 1766

ઇન્દોરના પ્રથમ મહારાજા મલ્હારરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મુરુમ ગામમાં ખાંડુજી હોલકરને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન ખેડ તાલુકાનું વફગાંવ હતું, પરંતુ હોલ ગામમાં આવી સ્થાયી થયા આથી હોલકર કહેવાયા. 1696માં પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ત્રણ વર્ષના હતા. માતા એમને લઈને ખાનદેશના તાલોદ ગામમાં ભાઈ ભોજરાજ બારગલના ઘરે રહેવા ગયાં. મલ્હારરાવ યુવાન થતાં કંથાજીએ એમને ઘોડેસવાર તરીકે પોતાની ટુકડીમાં રાખ્યા. આમ તેમની લશ્કરી કારકિર્દી શરૂ થઈ. 1721માં તેઓ પેશ્વા બાજીરાવની સેનામાં જોડાયા. પોતાની મહેનત અને બુદ્ધિથી તેઓ આગળ વધ્યા. તેઓ બાજીરાવના વિશ્વાસુ સેનાપતિ બન્યા. 1725માં તેમને 500 ઘોડેસવારના ઉપરી બનાવવામાં આવ્યા. 1728માં અમઝેરાના યુદ્ધમાં રાણોજી સિંધિયા અને ઉદાજી પવાર સાથે ભાગ લીધો. 1730માં પેશ્વાએ માળવા પ્રાંતના સૂબેદાર તરીકે તેમની નિમણૂક કરી અને ચોથ ઉઘરાવવાનું કામ સોંપ્યું. તેમણે ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝો પાસેથી બસેનનો કિલ્લો જીતી લીધો. 1748માં રોહિલ્લા અભિયાનમાં બહાદુરી માટે તેમને શાહી સરદેશમુખીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ નર્મદા અને સહ્યાદ્રી વચ્ચે આવેલા પ્રદેશના શાસક હતા. તેમણે 1717માં ગૌતમાબાઈ સાથે લગ્ન કર્યાં. એ પછી બાનાબાઈ, દ્વારકાબાઈ, હરકુબાઈ અને એક ખાંડા રાણી સાથે પણ લગ્ન કર્યાં હતાં. 1754માં ભરતપુરના જાટ મહારાજા સૂરજમલ સામે કુમ્હેર કિલ્લાના ઘેરા દરમિયાન તેમના એકના એક પુત્ર ખંડેરાવનું અવસાન થયું. ખંડેરાવના અવસાન પછી ખંડેરાવનાં પત્ની અહિલ્યાબાઈને તેમણે સતી થતાં અટકાવી હતી. મલ્હારરાવનું આલમપુર ખાતે અવસાન થયું. તેમના અવસાન પછી અહિલ્યાબાઈએ આલમપુરમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, એ સ્થળે સમાધિ છત્રી બનાવી હતી.
અનિલ રાવલ
