મેહદી નવાઝ જંગ


જ. ૧૪ મે, ૧૮૯૪ અ. ૨૩ જૂન, ૧૯૬૭

એક ભારતીય અમલદાર અને નિઝામના શાસન દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સચિવ તેમ જ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એવા મેહદી નવાઝ જંગનો જન્મ હૈદરાબાદના ડેક્કનના દારુલશીફામાં એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચશિક્ષણ માટે હૈદરાબાદની કૉલેજમાં જોડાયા હતા પરંતુ ટાઇફૉઈડની બીમારીને લીધે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા હતા. અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા હતા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. દક્ષિણ ભારતમાં પડેલા કારમા દુષ્કાળ વખતે ૧૯૧૯-૨૦માં હૈદરાબાદ સરકારે દુષ્કાળગ્રસ્ત અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતપૂર્વક સેવા કરી કે લોકો એમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવમાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રે તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, સહકારી વ્યાપાર નિગમ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ અને ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. ૧૯૨૬થી ૧૯૩૭ દરમિયાન હૈદરાબાદ સરકારમાં રહસ્યમંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપવા બદલ તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૪૯માં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની ૧૯૬૦ સુધી આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ અને વીજળી ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. સાત ભાષાના જાણકાર, સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા અને કલાપ્રેમી હોવાથી ભારતીય લલિત કલા એકૅડેમીનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં તેમના નામનો હૉલ આજે પણ મોજૂદ છે.