જ. 13 ફેબ્રુઆરી, 1928 અ. 5 નવેમ્બર, 2022

ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક મોહમ્મદભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં વલીભાઈ માંકડને ત્યાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપેલી. ત્યારબાદ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે કાયમી વસવાટ. 1982થી 1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી. 1984થી 1990 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્યપદે હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. મોહમ્મદ માંકડે ‘સંદેશ’માં વર્ષો સુધી ‘કેલિડોસ્કોપ’ નામની કટાર લખેલી. તેમની પાસેથી ‘કાયર’, ધુમ્મસ’, ‘અજાણ્યા બે જણ’, ‘વંચિતા’, ‘બંધનગર’ (1-2), ‘અશ્વદોડ’ વગેરે સત્તરેક નવલકથાઓ મળી છે. ‘માટીની મૂર્તિઓ’, ‘વાત વાતમાં’, ‘ઝાકળનાં મોતી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘આજની ક્ષણ’, ‘કેલિડોસ્કોપ’ (ભાગ 1-4), ‘સુખ એટલે’, ‘ઉજાસ’ વગેરે નિબંધસંગ્રહો છે. ‘ચંપૂકથાઓ’ (1-2) બાળભોગ્ય વાર્તાઓનો સંગ્રહ છે. ‘મહાનગર’ એ તેમનું અનૂદિત પુસ્તક છે. તેમને 1987માં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક મળેલો. તેમની ‘વેળાનાં વછૂટ્યાં’, ‘ઉજાસ’, ‘અશ્વદોડ’, ‘ના’, ‘ક્યારે આવશો ?’ વગેરે કૃતિઓને પુરસ્કારો મળ્યા છે. 2007નો રણજિતરામ ચંદ્રક મળેલો અને 2018માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રદ્ધા ત્રિવેદી
