રામ વી. સુતાર


જ. 19 ફેબ્રુઆરી, 1925 અ. 8 ડિસેમ્બર, 2025

ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારનો જન્મ બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા તરફની રુચિ તેમને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં દોરી ગઈ. ત્યાં તાલીમ લીધી અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. તેઓ કહેતા કે, તેમણે શિલ્પો તરફની રુચિ અજંતા અને ઇલોરા ગુફાનાં શિલ્પોમાંથી મેળવી. તેઓ 1950નાં પાછલાં વર્ષોમાં મંદિરોની મૂર્તિઓને પુનઃપ્રસ્થાપનાનું કાર્ય કરતા તેથી શિલ્પકળામાં વધુ ને વધુ હથોટી કેળવતા ગયા. તેમણે ઇટાલિયન શિલ્પો પાસેથી વસ્ત્રો પર પડતી સળોને અપનાવી. તેમણે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રચના કરી છે. 14 મીટર ઊંચા ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બનાવી હતી, જેની નકલ કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવી છે. તેમણે ભારતીય સંસદસ્થિત મહાત્મા ગાંધીની બેઠેલી સ્થિતિમાં પ્રતિમાની ડિઝાઇન કરી હતી. તેની મોટી પ્રતિકૃતિ તેમણે વિધાનસભા ખાતે બનાવી હતી. આ ઉપરાંત બૅંગાલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 33 મીટર ઊંચી કૅમ્પ ગૌડાની પ્રતિમાના ડિઝાઇનર પણ તેઓ હતા. 2008માં તેમણે કૃષ્ણ-અર્જુન રથની કાંસ્ય પ્રતિમા બનાવી હતી. બ્રિસ્બેનના ભારતીય સમુદાયે રોમા સ્ટ્રીટ પાર્કલૅન્ડ ખાતે રામ. વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જેનું અનાવરણ 2014માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને 1999માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર, 2018માં તેમને 2016ના સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કાર મળ્યો હતો. તેમને રાજ્ય સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પસંદ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચ, 2025ના રોજ વિધાનસભાને આપી હતી.