ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની ભક્તિ માટે એમણે તમામ ભૌતિક સંપત્તિ અને સુખોનો ત્યાગ કર્યો હતો. આવા મહાન સૂફી સંત બાયજીદ બિસ્તામી એક વાર પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતા. ગુરુના ઉપદેશનું એ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા અને એવામાં ગુરુએ બાયજીદને કહ્યું, ‘જરા બારીમાં પડેલું એક પુસ્તક લઈ આવ.’ આ સાંભળી બાયજીદે કહ્યું, ‘કઈ બારી ? ક્યાં છે બારી ?’ ઉત્તર સાંભળીને આશ્ચર્યચકિત બનેલા ગુરુએ કહ્યું, ‘અરે બાયજીદ, તું તો વર્ષોથી અહીં આવે છે. અહીં બેસીને મારી વાતનું શ્રવણ કરે છે અને છતાં તને ખબર નથી કે બારી ક્યાં છે?’ સંત બાયજીદે કહ્યું, ‘ના ગુરુદેવ, મને ખબર નથી.’ ગુરુએ કહ્યું, ‘તો શું તું આંખો મીંચીને મારી પાસે બેસે છે ? આ ખંડમાં બેઠો હોય અને તને બારી ન દેખાય તે કેવું કહેવાય ?’ બાયજીદે કહ્યું, ‘ગુરુજી, હું સાચું કહું છું. હું શા માટે બારીને જોવાનો પ્રયત્ન કરું.’ ‘કેમ ?’ ‘હું આ ખંડમાં આવું, ત્યારથી માત્ર ને માત્ર તમારી સાથે જ હોઉં છું. ફક્ત તમને જ જોતો હોઉં છું, તમારા સિવાય બીજી કોઈ ચીજ મારી નજરે પડતી નથી, તો પછી બારીની મને ક્યાંથી ખબર હોય !’ ગુરુ હસ્યા અને બાયજીદને કહ્યું, ‘હવે તું ઘેર પાછો ફરી શકે છે. તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. તેં લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે.’
કુમારપાળ દેસાઈ
