જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.
અંજના ભગવતી
