વર્ષોનાં સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રાન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા ‘પેસ્ટો’માં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી. અનેક બાળકો આ રોગને પરિણામે મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો અને તે સિદ્ધ કર્યો. પોતાની આ શોધને પેટન્ટ બનાવીને ડૉ. રુ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુને મોટી રકમની ઑફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી ‘પેટન્ટ’ને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું. ડૉ. રુને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી. એક વાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, ‘આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્ષ્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટ રૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.’ ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહ્યું, ‘જુઓ, આ સંશોધન હું કરી શક્યો, કારણ કે ‘પેસ્ટો’ સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી રકમ હું ‘પેસ્ટો’ને આપી દઈશ.’
ડૉ. રુએ બધી જ રકમ ‘પેસ્ટો’ને આપી દીધી અને નિસ્પૃહતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.
કુમારપાળ દેસાઈ
