સરતચંદ્ર બોઝ


જ. ૬ સપ્ટેમ્બર, ૧૮૮૯ અ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

પ્રતિષ્ઠિત વકીલ, સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્યકર અને રાજકીય નેતા સરતચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના સુટ્ટક ગામમાં કુલીન કાયસ્થ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના ભાઈ થાય. વીસ વર્ષની વયે તેમનાં લગ્ન બિવાવતી ડે સાથે થયાં હતાં. પ્રેસિડન્સી કૉલેજ, સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૧૧માં બૅરિસ્ટર થયા. તેમણે છોટા નાગપુરના આદિવાસી લોકોના અધિકારો માટે કામ કર્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેમની વકીલાત ધમધોકાર ચાલતી હતી, પણ પછી તેઓ સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. ૧૯૩૬થી ૧૯૪૭ સુધી તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી. ચળવળ દરમિયાન તેમને પકડવામાં આવ્યા. જેલનિવાસ દરમિયાન તેમની તબિયત બગડી. ચાર વર્ષના જેલવાસ બાદ ૧૯૪૫ના સપ્ટેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય સેનાનું સમર્થન કર્યું અને તેના સૈનિકોના પરિવારોને સહાયતા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું. ૧૯૪૬ અને ૧૯૪૭ સુધી અંતરિમ સરકારમાં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં પણ ભાગ લીધો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ૬૦ વર્ષની વયે કૉલકાતામાં તેમનું અવસાન થયું. કૉલકાતા હાઈકોર્ટના પ્રાંગણમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.