બૌદ્ધો અને જૈનોનું ધાર્મિક સ્થળ. સારનાથ બનારસ(કાશી)થી ૧૩ કિમી. દૂર આવેલું છે. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાન લાયું. આ જ્ઞાનનો પ્રથમ ધર્મોપદેશ તેમણે સારનાથમાં આપ્યો માટે તે મોટું તીર્થ ગણાયું. તે ઉપરાંત જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ‘ૠષિપત્તન’, ‘મૃગદાવ’ અથવા ‘મૃગદાય’ તરીકે ઓળખાવ્યું છે. અહીં મૂલગંધકુટિ વિહાર નામનો મઠ છે. તેમાં ભગવાનના જીવનપ્રસંગોનાં સુંદર ચિત્રો છે. પીપળાનું બોધિવૃક્ષ છે. એક જૈનમંદિર પણ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો. અને સિંહશીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. ચાર સિંહોની આકૃતિ ધરાવતી આપણા દેશની રાજમુદ્રા આ સ્તંભના શિરોભાગમાંથી લેવામાં આવી છે. કુષાણો તથા ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુઅન શ્વાંગે (હ્યુ એન સંગે) સારનાથની મુલાકાત લીધી હતી. પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં.

ધમેખ સ્તૂપ, સારનાથ
સારનાથમાં જોવાલાયક પુરાવશેષોમાં ધમેખનો સ્તૂપ કે ધર્મરાજિક્ સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળા અશોકના શિલાસ્તંભનો સમાવેશ થાય છે. ધમેખના સ્તૂપની બહારનું સુંદર શિલ્પકામ ગુપ્તકાલનું હોવાનું મનાય છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી એવું માનવામાં આવે છે કે મૂળ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ તથા સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મક સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. સિંહોના મસ્તક પર એક વખત ૩૨ આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપ પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દર વર્ષે ઘણા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સારનાથની મુલાકાતે આવે છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી