સ્થળાંતર


૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)