સ્વામી વિદ્યાપ્રકાશાનંદ ગિરિ


જ. 13 એપ્રિલ, 1914 અ. 10 એપ્રિલ, 1998

વેદાંતભેરીના સ્થાપક, મલયાલ સ્વામીના શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ વિદ્યાપ્રકાશાનંદ ગિરિનો જન્મ મછલીપટ્ટનમ્ માં થયો હતો. પિતા આનંદમોહન અને માતા સુશીલા. તેમણે 13 વર્ષની ઉંમરે વિજયવાડામાં મૅટ્રિક પૂર્ણ કર્યું. 1933માં મછલીપટ્ટનમ્ ની નોબલ કૉલેજમાંથી બી.એ. થયા. વારાણસી જઈને હિન્દી વિદ્યાપીઠમાંથી કોવિદની પદવી મેળવી. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરતા હતા ત્યારે તેમને તાડના પાંદડા પર લખેલું શ્રીમદ્ ભગવદ્ગીતાનું પુસ્તક મળ્યું. આ ઘટનાએ તેમને ગીતાનો ઉપદેશ આપવા પ્રેરણા આપી. 17 મે, 1936ના રોજ તેઓ ગુરુ મલયાલ સ્વામીના યેરેપડુના વ્યાસાશ્રમમાં ગયા. બાર વર્ષ સુધી કાચું અન્ન ગ્રહણ કર્યું અને એક વર્ષ મૌન રહી તપસ્યા કરી. 3 જુલાઈ, 1947ના રોજ મલયાલ સ્વામી દ્વારા દીક્ષા આપવામાં આવી અને વિદ્યાપ્રકાશાનંદ ગિરિ સ્વામી નામ ધારણ કર્યું. તેમણે શ્રીકાલાહસ્તીમાં સ્વર્ણામુખી નદીના કિનારે 20 જાન્યુઆરી, 1950ના રોજ શ્રી શુકબ્રહ્માશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં આધ્યાત્મિકતાની સાથે સામાજિક સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી. તેમણે જરૂરિયાતમંદો માટે મફત ઑપરેશન કરાવ્યાં. 1966માં પ્રથમ સરકારી ડિગ્રી અને 1982માં કન્યાઓ માટે જુનિયર કૉલેજ શરૂ કરાવી. આ કૉલેજોનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ‘ગીતા મકરંડમ્’ નામનું ભાષ્ય તેલુગુમાં લખ્યું. આ ભાષ્યનું તમિળ, કન્નડ, અંગ્રેજી, હિન્દી, વગેરે ભાષામાં ભાષાંતર થયું છે. તેમણે ‘યોગવશિષ્ઠ’ પુસ્તકનો તેલુગુમાં અનુવાદ કર્યો. ‘ધમ્મપદ’નો હિન્દીમાંથી સંસ્કૃત અને તેલુગુમાં અનુવાદ કર્યો. તેમણે સ્વામી નિર્વિકલ્પાનંદ સાથે `વશિષ્ઠ રામ સંવાદ’ લખ્યું જે શ્રી રામકૃષ્ણ મઠ, હૈદરાબાદે પ્રકાશિત કર્યું છે. તેમના ગીતા પરનાં પ્રવચનોની કૅસેટ્સ-સીડી બહાર પાડવામાં આવી છે. તેઓ 1956થી શ્રી સનાતન વેદાંત સભાના પ્રમુખ હતા.