હર્ષિદા પંડિત


જ. 15 ફેબ્રુઆરી, 1927 અ. 27 ફેબ્રુઆરી, 2012

મનોવિજ્ઞાનક્ષેત્રે ઉમદા માર્ગદર્શક અને અધ્યાપક હર્ષિદા પંડિતનો જન્મ અમદાવાદમાં થયો. પ્રારંભિક શિક્ષણ પણ અમદાવાદમાં જ લીધું. ત્યારબાદ ભાગલપુર અને મુંબઈમાં વધુ અભ્યાસ અર્થે ગયાં. 1948માં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. 1950માં માનસશાસ્ત્ર તથા તત્ત્વજ્ઞાન સાથે એમ.એ. કર્યું. આ ઉપરાંત 1944માં કોવિદ અને 1949માં વિશારદની ઉપાધિઓ પણ મેળવી. ભણવાનો એટલો શોખ કે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને પણ 1953માં વિદેશ ભણવા ગયાં. આ પહેલાં 1951માં શ્રી રામુ પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. 1957માં શૈક્ષણિક માનસશાસ્ત્રમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાંથી એમ.એસ.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ પેસેડોનાની વેસ્ટર્ન પર્સોનલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનની તાલીમ લીધી. 1958માં અમેરિકાથી ભારત આવીને અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજમાં માનસશાસ્ત્રનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં. 1960માં એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક તરીકે જોડાયાં. 1962થી 1987 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાં મનોવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપકપદે અને ત્યારબાદ વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા આપી. 1983માં ‘વહેમનું મનોવિજ્ઞાન’ પર મહાનિબંધ લખી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1986માં યુ.એસ.એ.માંથી ઇન્ટરનેશનલ એકૅડેમી ઑફ પ્રૉફેશનલ કાઉન્સેલિંગ ઍન્ડ સાઇકોથૅરપીમાં ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું. 1987માં એસ.એન.ડી.ટી.માંથી નિવૃત્ત થયા બાદ એ. કે. મુન્શી યોજનાના બાળમાર્ગદર્શન કેન્દ્ર તથા યૂથ કાઉન્સેલિંગ સેન્ટરમાં સેવાઓ આપી. 1989માં સરલા શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઍન્ડ ગાઇડન્સ જેવી સંસ્થામાં માનસિક મંદબુદ્ધિ ધરાવનાર બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. માનવવર્તનમાં જુદાં જુદાં પાસાંઓ વિશેની કટારો ‘ગુજરાત સમાચાર’, ‘સ્ત્રી’, ‘સમકાલીન’ વગેરેમાં લખતાં. ‘નવનીત-સમર્પણ’, ‘અનસૂયા’, ‘ઉજાસ’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ અને ‘અખંડ આનંદ’ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા. તેમણે અનેક પુસ્તિકાઓ અને પુસ્તકો પણ લખ્યાં છે જેવાં કે, ‘બાળકોને જાતીય જ્ઞાન કેમ આપવું’, ‘ફ્રોઇડ પછીનું મનોવિશ્લેષણ’, ‘બાળમાનસને ઓળખીએ’, ‘મૂંઝવતું બાળવર્તન’, ‘સ્ત્રી-માનસશાસ્ત્ર’ અને ‘માનવમનની આંટીઘૂંટીઓ’ વગેરે. તેમનાં પુસ્તકો સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યાં છે.