હું કોણ છું ?


ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’