હોળી


હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી પણ વધુ મહત્ત્વ અપાય છે. ત્યાંની લઠ્ઠામાર હોળી જાણીતી છે. આ ઉત્સવના સંદર્ભમાં ફાગુ-ગીતોની પરંપરા પણ પ્રચલિત છે. પુરાણકાળથી આ પર્વની સાથે પ્રહલાદની વાત જોડાયેલી છે. ઘણાં વર્ષો પૂર્વે હિરણ્યકશિપુ નામનો દૈત્યવંશનો એક રાજા હતો. તેને પ્રહલાદ નામનો એક વિષ્ણુ-ભક્ત પુત્ર હતો. હિરણ્યકશિપુ પોતાને ભગવાનથીય ચડિયાતો માનતો હોવાથી તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ લે તે તેને પસંદ નહોતું. તેણે પોતાના પુત્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેણે ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહિ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પણ રામ રાખે તેને કોણ ચાખે ? અંતે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હોવાથી તેને પ્રહલાદની હત્યા કરવાનું કામ સોંપ્યું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ધર્મના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા બળીને મૃત્યુ પામી. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો. તેની યાદમાં ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળી પ્રગટાવીને પૂજા-પ્રદક્ષિણા કરતા લોકો

ગામમાં કે શહેરમાં રહેતા લોકો અનુકૂળ જગ્યાએ લાકડાં ગોઠવીને ખડકલો કરે છે. તેમાં છાણાં પણ ગોઠવે છે. તેના પર સુકાયેલાં છાણાં(હોળૈયાં)નો હાર ચઢાવવામાં આવે છે. પછી સંધ્યાકાળે, મુહૂર્ત અનુસાર અગ્નિ પ્રગટાવી તેની પૂજા-પ્રદક્ષિણા કરવામાં આવે છે. નાળિયેર, ધાણી, ખજૂર વગેરે અગ્નિમાં હોમવામાં આવે છે. હોળીને મથાળે નાનકડી ધજા રોપાય છે. કેટલાક તેને પ્રહલાદ ભગતનું પ્રતીક માને છે. કેટલાક ધજા ફરકે કે પડે તેની દિશા ઉપરથી ઋતુમાનનો સંકેત ગ્રહણ કરે છે. હોળીના દિવસે લોકો ધાણી-ચણા તથા ખજૂર વગેરે લે છે, કેટલાક ઉપવાસ પણ રાખે છે. આ ટાણે ખાંડના હારડા લોકો લે છે. વળી ઢોલ-નગારાં પણ વગાડાય છે. પ્રાચીન કાળમાં તો આ સમયે ખેતરોમાંથી નવું પાકેલું ધાન્ય ઘરોમાં લવાતું. આ નવું અનાજ પ્રથમ દેવને અર્પણ કરીને પોતાના ઉપયોગમાં લેવાતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હોળી, પૃ. 207)