મંગેશ કેશવ પડગાંવકર


જ. 10 માર્ચ, 1929 અ. 30 ડિસેમ્બર, 2015

વિખ્યાત મરાઠી કવિ અને પ્રાધ્યાપક મંગેશ પડગાંવકરનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના વેંગુર્લામાં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લામાં લીધું. પછી ઉચ્ચશિક્ષણ માટે મુંબઈ ગયા. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી તરખડકર સુવર્ણચંદ્રક મેળવ્યો. એ જ પ્રમાણે 1958માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ન. ચિં. કેળકર સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે 1951-52માં મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં નોકરી કરી. 1953થી 1955 ‘સાધના’ સાપ્તાહિકના સહાયક સંપાદક તરીકે કાર્ય કર્યું. 1957માં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે જોડાયા. 1964થી 1970 સુધી પ્રોડ્યુસર તરીકે કાર્ય કર્યું. તેમણે મુંબઈની સોમૈયા કૉલેજ તથા મીઠીબાઈ કૉલેજમાં મરાઠી ભણાવ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઑનરરી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે 14 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. મરાઠીમાં ‘નવકાવ્ય’ તરીકે જાણીતો કાવ્યપ્રકાર તેમણે પ્રયોજ્યો છે. તેમનાં મોટા ભાગનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડસ બહાર પડી છે. પુણે યુનિવર્સિટીનું થીમ ગીત પણ તેમણે લખ્યું છે. તેઓ મરાઠી ‘મુર્ગી ક્લબ’ના સભ્ય હતા. 2010માં દુબઈમાં યોજાયેલા બીજા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધારાનૃત્ય’, ‘જિપ્સી’, ‘ઉત્સવ’, ‘વિદૂષક’ કાવ્યસંગ્રહો; મીરાંબાઈનાં હિંદી ગીતોનો પદ્યાનુવાદ ‘મીરા’, ‘બબલગમ’, ‘ભોલાનાથ’, ‘ભટકે પક્ષી’ વગેરે મુખ્ય બાળકાવ્યસંગ્રહો છે. તેમણે કેટલીક અમેરિકન કૃતિઓ તથા જે. કૃષ્ણમૂર્તિનાં ભાષણોના મરાઠીમાં અનુવાદ કર્યા છે. તેમના કાવ્યસંગ્રહો ‘જિપ્સી’ અને ‘છોરી’ને તથા બાળગીતોનો સંગ્રહ ‘બબલગમ’ને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિક મળ્યાં છે. ‘સલામ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. તેમને 1956માં એમ. પી. લિટરરી ઍવૉર્ડ, 2008માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, 2012માં પુણે યુનિવર્સિટી દ્વારા જીવનસાધના ગૌરવ પુરસ્કાર અને 2013માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.