અનાજ


ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જવ, ઓટ, જુવાર જેવી તૃણ(ઘાસ)કુળની વનસ્પતિઓના દાણા. માનવ-ઇતિહાસમાં આ વનસ્પતિઓ સૌથી અગત્યનો પાક ગણાય છે. શરૂઆતમાં આ વનસ્પતિઓ કુદરતી રીતે જંગલી ઘાસસ્વરૂપે ઊગતી હતી. હજારો વર્ષ પહેલાં તેની ખોરાક તરીકેની ઉપયોગિતા સમજાતાં આદિમાનવે તેની વ્યવસ્થિત રીતે ખેતી કરવાની શરૂઆત કરી. આદિમાનવે તેનાં અવલોકનોના આધારે આ પાકોમાં સુધારણા કરવા માંડી; જેના કારણે કૃષિવિદ્યા (agriculture) નામની વિજ્ઞાનની શાખાનો ઉદય થયો. અનાજના દાણા વિજ્ઞાનની દૃષ્ટિએ ધાન્યફળ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયથી ધાન્યોનો બીજા પાક કરતાં ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેના ખોરાક તરીકે ઘણા ફાયદા છે. તેમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પોષક છે. અનાજના દાણામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. તેમજ લાંબા અંતર સુધી તેની હેરફેર પણ કરી શકાય છે.

અનાજ

વિશ્વમાં તથા ભારતમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધારે છે. ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ રાંધવામાં અને મમરા-પૌંઆ જેવી બનાવટમાં થાય છે. આ ઉપરાંત ચોખા કાઢી લીધા પછી તેના છોડનો ઉપયોગ ઢોરના ચારા તરીકે અને પૂંઠા, કાગળ વગેરે બનાવવામાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરેનો સામાન્ય રીતે દળીને તેનો લોટ બનાવી તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, પૂરી, બ્રેડ, બિસ્કિટ વગેરે બનાવવામાં આવે છે. ઘઉંના લોટમાંથી શીરો, લાડુ, લાપસી, સેવ વગેરે પણ બનાવાય છે. અનાજના આથવણ દ્વારા દારૂ (બિયર અને વ્હિસ્કી) જેવાં પીણાં બનાવવામાં આવે છે. સામો, મોરૈયો, કોદરા, નાગલી વગેરે અન્ય ધાન્યપાકોનો ઉપયોગ ગ્રામલોકો તથા આદિવાસીઓ વધારે કરે છે. હાલમાં સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવવાથી અન્ય લોકો પણ પોતાના આહારમાં તેનો ઉપયોગ કરે છે. અનાજના મુખ્ય પ્રકારો ને તેમના ઉત્પાદક દેશો-પ્રદેશો – ઘઉં : સમશીતોષ્ણ કટિબંધના દેશોનો આ પાક છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારનાં રાજ્યો તેનું ઉત્પાદન વધુ કરે છે. વિશ્વમાં યુ.એસ., ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કૅનેડા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાના ઘઉં આગળ પડતું સ્થાન ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અનાજ, પૃ. 22)