મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન


જ. 15 માર્ચ, 1977 અ. 28 નવેમ્બર, 2008

2008ના મુંબઈના આતંકી હુમલા દરમિયાન ફક્ત 31 વર્ષે શહીદ થનારા ભારતીય સેનાના અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન બૅંગાલુરુમાં રહેતા મલયાલી નાયર પરિવારમાંથી હતા, જ્યાં તેઓ કેરળના કોઝિકોડથી સ્થળાંતરિત થયા હતા. તેઓ નિવૃત્ત ઇસરો અધિકારી કે. ઉન્નીકૃષ્ણન અને ધનલક્ષ્મી ઉન્નીકૃષ્ણના એકમાત્ર પુત્ર હતા. મેજરે બૅંગાલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1995માં વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયા હતા. તેઓ બાળપણથી જ સશસ્ત્ર દળોમાં જોડાવા માગતા હતા. મેજર સંદીપ 1995માં મહારાષ્ટ્રના પુણેમાં નૅશનલ ડિફેન્સ અકાદમીમાં જોડાયા. તેઓ ઑસ્કાર સ્ક્વોડ્રનના ભાગ હતા અને 94માં કોર્સ એનડીએના સ્નાતક હતા. તેમણે બેચલર ઑવ્ આર્ટસની ડિગ્રી મેળવી હતી. ભારતીય લશ્કરી અકાદમી (આઇએમએ) દેહરાદૂનમાંથી તેઓ સ્નાતક થયા અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મેળવ્યું. 12 જૂન, 2003ના રોજ તેમને કૅપ્ટન તરીકે નોંધપાત્ર બઢતી મળી. ‘ઘાતક કોર્સ’ દરમિયાન તેમણે બે વખત ‘ઇન્સ્ટ્રક્ટર’ ગ્રેડિંગ અને પ્રશંસાપત્ર મેળવ્યું. તેમને ગુલમર્ગની હાઈ અલ્ટિટ્યૂડ વૉરફેર સ્કૂલમાં પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા પછી જાન્યુઆરી 2007માં તેમને એનએસજીના 51મા સ્પેશિયલ ઍક્શન ગ્રૂપના તાલીમ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એનએસજીનાં વિવિધ ઑપરેશન્સમાં પણ ભાગ લીધો હતો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને 27 નવેમ્બર, 2008ના રોજ હોટલ તાજમહેલ મુંબઈમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલ કમાન્ડો ઑપરેશનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે 14 બંધકોને બચાવ્યા હતા. ઑપરેશન દરમિયાન તેમની ટીમ તીવ્ર પ્રતિકૂળ ગોળીબારમાં આવી હતી, જેમાં તેમની ટીમના એક સભ્યને ગંભીર ઈજા થઈ હતી. મેજર સંદીપે આતંકવાદીઓને કચડી નાખ્યા અને ઘાયલ કમાન્ડોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ પ્રક્રિયામાં તેમના જમણા હાથમાં ગોળી વાગી હતી. ઈજાઓ હોવા છતાં તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી આતંકવાદીઓ સામે લડતા રહ્યા. તેમણે ઉચ્ચ કક્ષાના નેતૃત્વ ઉપરાંત ખૂબ જ નોંધપાત્ર બહાદુરી દર્શાવી રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. 26 જાન્યુઆરી, 2009ના રોજ તેમને મરણોત્તર અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીના પ્રવેશદ્વાર પર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની પ્રતિમા છે. બૅંગાલુરુ વ્હાઇટફિલ્ડ ખાતે એક આર્મી હાઉસિંગ કૉમ્પ્લેક્સનું નામ ‘સંદીપ વિહાર’ છે.