ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)
કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ ૧૮૧૩માં અને અવસાન ૧૮૪૭માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ ૧૮૦૦ છે, જ્યારે મૃત્યુવર્ષ ૧૮૪૯ છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન ૧૮૦૦થી ૧૮૪૯ વધુ બંધબેસતો આવે છે. આ વેધશાળા જુલાઈ ૧૮૩૭થી કામ કરતી થઈ અને આરંભનાં મોટા ભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. ૧૮૪૧માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.
સુશ્રુત પટેલ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા), પૃ. 74 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિવેન્દ્રમ વેધશાળા/)
