વસંત કાનેટકર


જ. 20 માર્ચ, 1922 અ. 30 જાન્યુઆરી, 2001

લોકપ્રિય મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનો જન્મ સતારા જિલ્લાના રહીમતપુર ગામમાં થયો હતો. માતા ઉમા અને પિતા શંકર કાનેટકર જે મરાઠી કવિ હતા અને ‘ગિરીશ’ ઉપનામથી લખતા હતા. તેમનું શિક્ષણ સાંગલી અને પુણેમાં થયું હતું. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એ. અને સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાંથી એમ.એ. થયા. 1946માં નાશિકની હંસરાજ પ્રાગજી ઠાકરે કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ મૅટ્રિકમાં હતા ત્યારથી કવિતા, વાર્તા અને નિબંધ લખતા. તેમની પ્રથમ વાર્તા 1939માં ‘મનોહર’ માસિકમાં પ્રકાશિત થઈ હતી. તેઓ 1973માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણકાલીન વ્યાવસાયિક નાટ્યકાર થયા. તેમણે 54 વર્ષમાં 42 ત્રિઅંકી નાટકો, 4 નવલકથાઓ, એકાંકીઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ફિલ્મો અને ટીવી સિરિયલો માટે પટકથાઓ લખી હતી. ‘લાવણ્યમયી’ વાર્તાસંગ્રહ; ‘ઘર’, ‘પંખ’, ‘પોરકા’ મૌલિક અને ‘તેથે ચલ રાણી’ અનૂદિત નવલકથા એમણે આપ્યાં છે. તેમનું પ્રથમ નાટક ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ રંગભૂમિ પર સફળ રહ્યું. તેમણે ‘દેવાંચે મનોરાજ્ય’, ‘ગોષ્ટ જન્માંતરીચી’, ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘પ્રેમા તુઝા રંગ કસા’, ‘સૂર્યાચી પિલ્લે’, ‘વિષવૃક્ષાચી છાયા’ વગેરે નાટકો આપ્યાં છે. ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’ મરાઠી રંગભૂમિ પર સીમાચિહન બની રહ્યું. એ નાટક માટે એમને સંગીત નાટક અકાદમીનો શ્રેષ્ઠ ભારતીય નાટક પુરસ્કાર મળ્યો હતો. આ નાટક ભારતની ચૌદ ભાષાઓમાં ભાષાંતરિત થયું હતું અને તેનો મુંબઈ યુનિવર્સિટીના અંડર ગ્રૅજ્યુએટ આર્ટસ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતી નાટકો ‘અમે બરફનાં પંખી’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘પુનર્મિલન’, ‘પઢો રે પોપટ બોલ પ્રેમના’, ‘રાયગડ જ્યારે જાગે છે’, ‘પારિજાત’, ‘નોખી માટી ને નોખા માનવી’, ‘ઉપર ગગન નીચે ધરતી’ તેમનાં મરાઠી નાટકોનાં રૂપાંતરણ છે. 1966માં હિંદી ફિલ્મ ‘આંસુ બન ગયે ફૂલ’ની શ્રેષ્ઠ વાર્તા માટે ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1990માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર અને 1992માં પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં ‘કસ્તુરીમૃગ’ નાટક માટે શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ નાટ્યકારનો કદાદર્પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.