પી. વી. નરસિંહ ભારતી


જ. 24 માર્ચ, 1924 અ. 11 મે, 1978

તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક પી. વી. નરસિંહ ભારતીનો જન્મ મદુરાઈના સૌરાષ્ટ્ર વણકર સમાજમાં થયેલો. તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી સ્થાળાંતર કરેલું. વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબમાં નરસિંહ ભારતીનો ઉછેર થયો. 11 વર્ષની ઉંમરે તેઓ ‘boys’ company માટે મંચ પર સ્ત્રીપાત્રો ભજવી જાણતા. તે સમયે નાટકોમાં મંચ પર અભિનય સાથે જાતે જ ગાવું પડતું. તેઓ મધુર અવાજના કારણે ખૂબ લોકપ્રિય થયા. દેવી સરસ્વતી(વિદ્યાની દેવી)ના અદ્ભુત અભિનય માટે તેઓ ‘ભારતી’ કહેવાયા. (‘ભારતી’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવાયો છે, મા સરસ્વતી દેવીની કૃપા જેના પર ઊતરી છે તે). શાસ્ત્રીય ગાયક અને સારા અભિનેતા તરીકે સિનેમા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું અને પૌરાણિક ફિલ્મો માટે તેઓ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી રહ્યા. કૃષ્ણ ભગવાનના પાત્રમાં તેઓ ‘કુરુક્ષેત્ર’ (1945), ‘અભિમન્યુ’ (1948)  અને લક્ષ્મણના પાત્રમાં ‘સંપૂર્ણ રામાયણ’(1958)માં ખૂબ લોકચાહના પામ્યા. શિવાજી ગણેશન અને એમ. જી. રામચંદ્રન જેવા સમકાલીન કલાકારોના પ્રભુત્વ વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. તેમણે જ ફિલ્મ ‘કૃષ્ણ વિજયમ’ (1950) માટે જાણીતા ગાયક ટી. એમ. સૌદરારાજનની ભલામણ કરી હતી. 1940થી કારકિર્દીની શરૂઆત કરનાર ભારતીએ લગભગ 50 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું. તેમાંની મહત્ત્વની ફિલ્મો ‘પોન્મુડી’ (1949), ‘મદનમોહિની’ (1953), ‘થીરુમ્બી પાર’ (1953) વગેરે છે.