અમૃતસર


પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, તાલુકામથક તથા જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : ૩૧° ૩૫´ ઉ. અ. અને ૭૪° ૫૩´ પૂ. રે.. તે ભારત-પાકિસ્તાનને જુદી પાડતી વાઘા સીમાથી ૫૦ કિમી.ને અંતરે છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. તે શીખોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર ૧૫૭૭–૭૯માં આ શહેરની સ્થાપના કરી હતી. ગુરુ રામદાસનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું હતું. તેમણે અમૃત સરોવરની મધ્યમાં ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. ગુરુ ગ્રંથસાહિબનું સંકલન કરીને હરિમંદિરમાં તેની સ્થાપના કરી. ૧૮૦૩માં મહારાજા રણજિતસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના તાંબાના પતરાના ઘુમ્મટને પણ સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થયું. અમૃતસર જિલ્લાની વસ્તી ૨૮,૭૦,૦૦૦ (૨૦૨૫, આશરે) અને વિસ્તાર ૫૦૭૫ ચોકિમી. છે. જ્યારે શહેરની વસ્તી ૧૬,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) લાખ જેટલી છે.

અમૃતસરનું સુવર્ણમંદિર

સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલરાયનો ટાવર અને દુર્ગિયાનું મંદિર જોવાલાયક છે. અમૃતસર આઝાદીની ચળવળ સાથે પણ જોડાયેલું છે. ૧૯૧૯માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અહીં અંગ્રેજો દ્વારા થયેલા જલિયાંવાલા હત્યાકાંડના સ્થળે શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર કરાયેલું છે. આ શીખ યાત્રાધામ સમય જતાં વેપારધંધાનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં ઊની તથા રેશમી કપડાં, ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમ જ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીંનો મુખ્ય પાક ઘઉં છે. ૧૮૯૩માં અહીં ખાલસા કૉલેજ સ્થપાઈ. શહેરમાં ગુરુ નાનક યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, આયુર્વેદિક કૉલેજ તથા માનસિક રોગોની હૉસ્પિટલ આવેલી છે. દર વર્ષે વસંતપંચમીએ અહીં મેળો ભરાય છે. દિવાળીમાં પશુમેળો યોજાય છે. અમૃતસર સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની મુલાકાત લેતા રહેતા હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1