સ્વામી યોગાનંદ


જ. 30 માર્ચ, 1861 અ. 28 માર્ચ, 1899

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ ઉપપ્રમુખ સ્વામી યોગાનંદનો જન્મ દક્ષિણેશ્વર નજીક થયો હતો. તેમનું નામ યોગીન્દ્રનાથ રૉય ચૌધરી હતું. તેઓ બાળપણથી જ ધ્યાન અને પૂજામાં વ્યસ્ત રહેતા હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. રામકૃષ્ણએ તેમનામાં રહેલા આધ્યાત્મિક ભાવને જાણ્યો અને અવારનવાર આવવા માટે કહ્યું. ભક્તિ તરફ વળવાને કારણે યોગીન્દ્રનાથના અભ્યાસ પર અસર થઈ. આથી માતાપિતાને ચિંતા  થવા લાગી. પરિવારને આર્થિક ટેકો થાય એ માટે તેઓ નોકરીની શોધમાં કાનપુર ગયા. ત્યાં તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હતા. પરિવારજનોએ તેમનાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી તેઓ જવાબદાર બને અને મન સંસારમાં પરોવાય. અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કરવાં પડ્યાં. લગ્ન પછી યોગીન્દ્રનાથ રામકૃષ્ણને મળ્યા. તેમણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દક્ષિણેશ્વર જવાનું શરૂ કર્યું. તેઓ મોટા ભાગનો સમય રામકૃષ્ણ સાથે વિતાવવા લાગ્યા. રામકૃષ્ણના અવસાન પછી તેઓ શારદાદેવી સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમને કલાબાબુના કુંજમાં દીક્ષા આપવામાં આવી. તેઓ શારદાદેવીના પ્રથમ શિષ્ય બન્યા. એક વર્ષ પછી કૉલકાતા આવ્યા. તેઓ સ્વામી બ્રહ્માનંદ સાથે પુરી ગયા પછી 1888થી 1899 સુધી કૉલકાતામાં જુદાં જુદાં સ્થળોએ રહ્યા અને શારદાદેવીની સંભાળ રાખી. શારદાદેવી તેમને પ્રેમથી ‘છેલે યોગેન’ કહેતાં. તેમણે 1887માં સ્વામી વિવેકાનંદના નેતૃત્વમાં અન્ય શિષ્યબંધુઓ સાથે મઠનું વ્રત લીધું અને સ્વામી યોગાનંદ નામ ધારણ કર્યું. 1891માં વારાણસી ગયા. ત્યાં કઠોર જીવન જીવ્યા. તેમનું સ્વાસ્થ્ય બગડતાં બારાનગર મઠમાં આવ્યા. તેઓ પેટની બીમારીથી પીડાતા હતા. તેઓ બલરામ બોઝના ઘરે રહ્યા. તેઓ દક્ષિણેશ્વર મંદિરમાં રામકૃષ્ણના જન્મદિવસની જાહેર ઉજવણીનું મોટા પાયે આયોજન કરનારી પ્રથમ વ્યક્તિ હતા. 1897માં સ્વામી વિવેકાનંદ કૉલકાતા આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી તેમને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.