જ. 5 એપ્રિલ, 1905 અ. 20 જુલાઈ, 1996

સંવેદનશીલ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ તથા કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતાં અન્ના ચંડીનો જન્મ કેરળના તિરુવનંતપુરમ્(ત્રિવેન્દ્રમ્)માં થયો હતો. તે સમયે સ્ત્રીઓને મૅટ્રિકથી વિશેષ ભણવાની તક મળતી નહોતી. તેમ છતાં મહિલાઓના અધિકારોની બાબતમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં કેરળની મહિલાઓ વધુ પ્રગતિશીલ અને સાહસિક હતી. અન્નાએ 1926માં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી સૌપ્રથમ કાયદાશાસ્ત્રમાં પદવી હાંસલ કરી. સમગ્ર કેરળ રાજ્યમાં આવું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. એ પછી 1929થી બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની સાથોસાથ એમણે સ્ત્રીઓના હક્કો માટે મલયાળમ ભાષામાં ‘શ્રીમતી’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકનાં તેઓ પ્રથમ સંપાદક બન્યાં અને મહિલા-અધિકાર માટે લડત શરૂ કરી. 1938માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર અને 1949માં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ થયાં. 1959ની નવમી ફેબ્રુઆરીએ તેમની કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેઓને વડી અદાલતનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું. એ સમયે વડી અદાલતનું ન્યાયમૂર્તિપદ મેળવનાર તેઓ વિશ્વનાં બીજાં મહિલા હતાં. 1967ની પાંચમી એપ્રિલ સુધી તેઓએ આ ગૌરવવંતા પદ પર કામગીરી બજાવી. અન્ના ચંડીના પતિ પોલીસઇન્સ્પેક્ટર હતા. બંને વચ્ચે સમજદારીનો સેતુ મજબૂત હતો, પરિણામે અન્ના સફળતા હાંસલ કરતાં ગયાં, પણ તે માટે પોતાના અંગત જીવનનો ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. એમના પતિની બદલી જુદાં જુદાં શહેરોમાં થતી હતી. આથી બંનેને પોતાના વ્યવસાય સંભાળવા જુદા રહેવું પડતું હતું. પરિણામે અન્નાને શિરે ઘરગૃહસ્થી, વ્યવસાય તથા બાળકોના ઉછેરની જવાબદારી આવી, પરંતુ પ્રતિકૂળ સંજોગોનો તેમણે હિંમતભેર સામનો કર્યો. અન્નાને વાંચન અને સર્જનનો શોખ હોવાથી ‘મર્ડર ઑફ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (સેક્શન 206, પીનલ કોડ) નામના નાટકની રચના કરી; એટલું જ નહીં, પણ એનું સફળ નિર્દેશન કર્યું તથા નાટકમાં ભૂમિકા પણ ભજવી. તેમણે પોતાની આત્મકથા લખી છે જે 1973માં પ્રકાશિત થઈ હતી. તેઓ ત્રાવણકોર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને આજીવન મહિલાઓના અધિકાર માટે લડત આપતાં રહ્યાં હતાં.
અમલા પરીખ
