જ. 6 એપ્રિલ, 1928 અ. 6 નવેમ્બર, 2025

પ્રસિદ્ધ અમેરિકન જનીન-વિજ્ઞાની, જૈવ-ભૌતિકવિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિક સહવિજેતા. જન્મ શિકાગો, ઇલિનોય, યુ.એસ.એ.માં અને બાળપણ પણ શિકાગોમાં વિતાવ્યું. અભ્યાસ હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં 1943માં 15 વર્ષની વયે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રયોગલક્ષી કૉલેજમાં દાખલ થયાં અને 1947માં સ્નાતકની ઉપાધિ મેળવી. બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશોધનોથી તેઓ પ્રભાવિત હતા અને પક્ષીનિરીક્ષણનો રસ પણ તેમને જનીનવિદ્યાના અભ્યાસ તરફ દોરી ગયો. આથી શિષ્યવૃત્તિ મળતાં ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને વિષાણુશાસ્ત્રમાં જીવાણુભોજી વિષાણુઓ પર સંશોધન કરી 1950માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ હાંસલ કરી. 1950-51માં તેઓ મર્ક-ફેલો તરીકે કોપનહેગનમાં ગયા અને જીવાણુસંલગ્ન વિષાણુઓ પર સંશોધન કર્યું. 1951-53 દરમિયાન ક્વૅન્ડિશ પ્રયોગશાળામાં સંશોધક તરીકે જોડાયા અને X-કિરણ વિવર્તન ટૅકનિકનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ જૈવ-ભૌતિકવિદ ફ્રાન્સિસ ક્રિકને મળ્યા અને બંનેએ DNA અણુઓની સંરચના ઉકેલવાના પ્રયત્નો કર્યા. પરિણામરૂપ 1953માં બ્રિટિશ જર્નલ ‘નેચર’માં DNA અણુના પ્રતિરૂપ વિશેનું પ્રકાશન બે સંશોધનપત્રો રૂપે કર્યું. આ દરમિયાન નોબેલવિજેતા ભૌતિકવિદ શ્રોડિન્જરના ‘What is life’ પુસ્તકના વાચનથી પ્રભાવિત થઈ સંભાવ્ય જટિલ સ્વરૂપના એક અણુ દ્વારા આનુવંશિકતાને લગતી જૈવિક વિધિનું નિયમન કઈ રીતે થાય છે તે જાણવા પ્રેરિત થવાથી લંડનના બાયૉફિઝિકલ યુનિટમાં જોડાયા અને કોષાંતર્ગત ન્યૂક્લીઇડ ઍસિડના પારજાંબલી સૂક્ષ્મવર્ણપટનો સ્પેક્ટ્રૉફોટોમિતીય અભ્યાસ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ન્યૂક્લીઇડ ઍસિડના અણુની સૂક્ષ્મતમ રચનાના અને આ અણુમાં સંકેતના સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી સંતાનમાં કઈ રીતે સ્થાનાંતર પામે છે તેને લગતા મૌલિક સંશોધન બદલ ક્રિક–વૉટ્સન–વિલ્કિન્સ ત્રિપુટીને 1962ના વર્ષનું દેહધર્મવિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વૉટ્સનનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘મોલેક્યુલર બાયૉલૉજી ઑવ ધ જીન’ (1965) અને ‘ધ ડબલ હેલિક્સ’(1968)ને ગણાવી શકાય. 1981માં તેમણે જોહન ટૂઝ સાથે લખેલ ‘ધ ડી.એન.એ. સ્ટોરી’ પ્રકાશિત કર્યું. 1988થી 1992 દરમિયાન ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ખાતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ફાળો આપ્યો.
રાજશ્રી મહાદેવિયા
