જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962

સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં ‘શારદાસદન’ સ્ત્રીસંસ્થામાંથી આનંદીબાઈ નામની વિધવા સાથે પુનર્લગ્ન કર્યાં આથી બ્રાહ્મણ સમાજે બહિષ્કાર કર્યો હતો. તેમણે 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ની સ્થાપના કરી હતી. 1896માં પૂના પાસે હિંગણે(હવે કર્વેનગર)માં વિધવા મહિલાઓ માટે આશ્રમની સ્થાપના કરી હતી. 1907માં આ આશ્રમમાં મહિલાશાળાની સ્થાપના કરી હતી. તેમણે 1910માં ‘નિષ્કામ કર્મ મઠ’ની સ્થાપના કરી હતી. તેમણે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ સ્થાપીને અનેક શાળાઓ શરૂ કરી. આ બધી સંસ્થાઓનું એકત્રીકરણ કરીને ‘મહર્ષિ કર્વે મહિલા શિક્ષણ સંસ્થા’ બનાવવામાં આવી. તેમણે 1929માં આફ્રિકા, જાપાન, યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. તેઓ આઇન્સ્ટાઇનને મળ્યા. જાપાનની મહિલા યુનિવર્સિટીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 1916માં પૂનામાં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટી’(SNDT યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમણે 1910માં કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે ‘નિષ્કામ કર્મ મઠ’ની તથા અસ્પૃશ્યતાનિવારણ માટે 1944માં ‘સમતા સંઘ’ની સ્થાપના કરી. તેમની આત્મકથા મરાઠીમાં ‘આત્મવૃત્ત’ અને અંગ્રેજીમાં ‘લુકિંગ બેક’ નામે પ્રકાશિત થઈ છે. ભારત સરકારના ફિલ્મ વિભાગે ‘ધ સ્ટોરી ઑવ્ ડૉ. કર્વે’ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. તેમના જીવનઆધારિત નાટક ‘હિમાલયાચી સાવલી’ ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ હતું. પૂનામાં કર્વેનગર અને મુંબઈમાં મહર્ષિ કર્વે માર્ગ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બનારસ હિન્દી યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવી હતી. ભારત સરકારે 1955માં પદ્મભૂષણ અને 1958માં ભારતરત્નથી તેમને સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
