શહીદ બંધુ સિંહ


જ. 1 મે, 1833 અ. 12 ઑગસ્ટ, 1858

ઉત્તરપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની શહીદ બંધુ સિંહનો જન્મ ડુમરીમાં થયો હતો. તેઓ તારકુલાહા દેવીના અનન્ય ભક્ત હતા. માતૃભૂમિ પર શાસન કરનાર જુલમી અંગ્રેજોને હાંકી કાઢવાનું તેમણે બીડું ઝડપ્યું હતું. તેમણે પોતાનું રજવાડું છોડી દીધું અને જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ગેરીલા પદ્ધતિથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. જંગલમાંથી પસાર થતા બ્રિટિશ અધિકારીઓ પર તેઓ હુમલો કરતા. તેમને લૂંટીને તેમનું માથું કાપીને તારકુલાહા દેવીના ચરણોમાં અર્પણ કરતા. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓને ખબર જ ન પડી કે જંગલમાં સૈનિકો ગુમ થઈ જાય છે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે આ કામ બંધુ સિંહનું છે. ગભરાયેલા અંગ્રેજોએ બનારસથી સૈન્ય મોકલ્યું  અને ડુમરી ગામ પાસે છાવણી નાખી. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતાં તેમણે છાવણી પર છાપો મારીને શસ્ત્રસરંજામ લૂંટી લીધો. આથી ગુસ્સે થઈને અંગ્રેજોએ ગામને આગ લગાડી, પરંતુ ગામલોકો ગામમાંથી ભાગી ગયા. બંધુ સિંહને શોધતા અંગ્રેજોને સુરત સિંહે માહિતી આપી. તેણે વિશ્વાસઘાત કર્યો. અંગ્રેજોએ તેને વાર્ષિક 4800 રૂપિયા અને ગોરખપુરનું ડુમરી રજવાડું આપ્યું. બાતમીને આધારે બંધુ સિંહની ધરપકડ કરવામાં આવી. અલીનગરના ચાર રસ્તા પર તેમને ફાંસી આપવામાં આવી. એવું કહેવાય છે કે તેમને છ વખત ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે ફાંસીનો ફંદો તૂટી જતો હતો. શહીદ બંધુ સિંહની સ્મૃતિમાં શહીદ સ્થળ પર અને તારકુલાહા દેવીના મંદિરના મેદાનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમના વંશજોએ શહીદ બંધુ સિંહ સ્મારક સમિતિની સ્થાપના કરી છે. ઉત્તરપ્રદેશમાં શહીદ બંધુ સિંહ પી. જી. કૉલેજ, શહીદ બંધુ સિંહ ગર્લ્સ હૉસ્ટેલ, શહીદ બંધુ સિંહ સ્ટેડિયમ, શહીદ બંધુ સિંહ પાર્ક વગેરે તેમના બલિદાનને જીવંત રાખવા નામાભિધાન પામ્યાં છે.