મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ કારણે એનું ‘દશાવતારી’ નામ પડ્યું છે. આ નાટ્યપરંપરા સાતમી સદીથી ચાલતી આવી છે એવી એક માન્યતા છે. સત્તરમી સદીમાં સંત રામદાસ એમના ‘દાસબોધ’માં દશાવતારી રમતોનો નિર્દેશ કરે છે, પરંતુ એ વખતે પ્રચલિત સ્વરૂપ વિશે કશી માહિતી મળતી નથી. એક દૃષ્ટિએ આ નાટ્યપ્રકારનું મૂળ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં યક્ષગાનની શૈલીમાં દશાવતારની કથાની રજૂઆત થતી અને હજીય થાય છે. મહારાષ્ટ્રમાં આ નાટ્યપરંપરા અઢારમી સદીથી શરૂ થઈ. દશ અવતારોમાં મત્સ્યાવતારથી કૃષ્ણાવતાર સુધીના અવતારોની રજૂઆત હોય છે. પણ કૂર્મ, વરાહ અને પરશુરામના અવતારોનો નિર્દેશ માત્ર ગીતો દ્વારા કરવામાં આવે છે. બુદ્ધ અને કલ્કિ અવતારો દર્શાવવામાં આવતા નથી. મત્સ્યાવતારમાં સંકાસુરવધની વાત આવે છે. પણ સંકાસુરનું પાત્ર ભયાનક દર્શાવવાને બદલે વિદૂષક જેવું રમૂજ ઉપજાવે એવું દર્શાવવામાં આવે છે. રામ અને કૃષ્ણના અવતારોની અનેક ઘટનાઓ નિરૂપિત થાય છે. કૃષ્ણાવતારની રજૂઆતમાં રાધાનું પાત્ર મહત્ત્વનું હોય છે. નાટકની શરૂઆત મધરાતે થાય છે અને સવાર સુધી એ ચાલ્યાં કરે છે.

દશાવતારમાં પૂજારી, દાસી, ગણપતિ અને સંકાસુરનાં પાત્રો
ઘણાં કોંકણી કુટુંબોમાં દશાવતારીનો પાઠ ભજવવાની પરંપરા ચાલતી આવી છે. અભિનેતાઓ તથા પ્રેક્ષકો બંને નાટક ભજવાતું હોય છે ત્યારે પોતપોતાની રીતે ભગવાનની આરાધના કરતા હોય છે. આ નાટકની પ્રારંભિક વિધિ મંદિરના પૂજારીના ઘરમાં થાય છે. ત્યાં ધાર્મિક વિધિ કરી, રંગભૂષા અને વેષભૂષા કરી, સરઘસ કાઢી મૃદંગમંજીરા વગાડતા, નાચતાગાતા, મંદિરના સભામંડપમાં તૈયાર કરેલા મંચ પર આવે છે. પ્રેક્ષકો ભેગા થાય ત્યાં સુધી મૃદંગની જુગલબંધી ચાલે છે.
યશવંત કેળકર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દશાવતારી નાટક, પૃ. 268 અથવા જુઓ https://gujarativishwakosh.org/દશાવતારી નાટક/)
