જ. 1 જૂન, 1929 અ. 3 મે, 1981

ભારતીય હિન્દી સિનેમાનાં મહાન અભિનેત્રી નરગિસનો જન્મ કૉલકાતામાં અબ્દુલ રશીદ તથા જદ્દાબાઈ રશીદને ત્યાં થયો હતો. તેનું નામ ફાતીમા રશીદ રાખવામાં આવ્યું હતું. માતા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. સભ્ય સમાજ તરફથી અવગણના પાત્ર માહોલમાં ફાતીમા રશીદનું બાળપણ વીત્યું હતું. માત્ર છ વર્ષની વયે ફિલ્મ ‘તલાશ-એ-હક’માં એમણે અભિનય કર્યો હતો. સિનેજગત માટે એમને નરગિસ નામ આપવામાં આવ્યું હતું. 1942માં ફિલ્મ ‘તમન્ના’ તથા મહેબૂબ ખાનનિર્મિત ફિલ્મ ‘તકદીર’માં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કર્યો અને દર્શકોના ધ્યાનમાં આવ્યાં. ત્યારબાદ શોમૅન રાજ કપૂર સાથે આર. કે. બૅનર હેઠળ ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’માં અભિનય કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યાં. ભારત તેમજ રશિયામાં પણ એમણે ખૂબ ચાહના મેળવી. અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ‘આહ’, ‘બાબુલ’, ‘અંદાઝ’, ‘ચોરીચોરી’, ‘કાલા બાઝાર’, ‘હુમાયૂં’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને તત્કાલીન સમયનાં સૌથી વધુ મહેનતાણું મેળવતાં અભિનેત્રી બન્યાં. રાજ કપૂર સાથે સોળ ફિલ્મોમાં અભિનય કર્યો. 1957માં મહેબૂબ ખાનનિર્મિત-નિર્દેશિત ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ નરગિસના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સહઅભિનેતા સુનિલ દત્ત સાથે મનમેળ થતાં 1958માં લગ્નગ્રંથિથી જોડાયાં. ત્રણ સંતાનોનાં માતા બનીને સ્થાયી જીવનની શરૂઆત કરી. 1958માં નરગિસને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1967માં ફિલ્મ ‘રાત ઔર દિન’માં અભિનય કર્યા બાદ ફિલ્મોમાં અભિનયની પ્રવૃત્તિને તિલાંજલી આપી. 1980માં રાજ્યસભાનાં સભ્ય તરીકે એમની પસંદગી થઈ, પરંતુ તે જ અરસામાં પિત્તાશયના કૅન્સરની બીમારી વધુ તીવ્ર બની. 1981માં મુંબઈમાં એમનું અવસાન થયું. પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ના લોકાર્પણના ત્રણ દિવસ પહેલાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ પતિ સુનિલ દત્તે નરગિસ દત્ત મેમોરિયલ કૅન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી તથા ફિલ્મજગતમાં અભિનયના પ્રોત્સાહન માટે નરગિસ દત્ત ઍવૉર્ડની શરૂઆત કરી. નરગિસ દત્ત ફિલ્મભાવકોનાં હૃદયમાં અમર સ્થાન ધરાવે છે.
અલ્પા શાહ
