જ. 17 જૂન, 1903 અ. 17 જાન્યુઆરી, 1951

અસમના રાષ્ટ્રભક્ત કવિ, નાટ્યકાર, ગીતકાર, લેખક અને ફિલ્મ-નિર્માતા જ્યોતિ પ્રસાદનો જન્મ દિબ્રુગઢ જિલ્લાના તામુલબારી ચાયબાગાનમાં થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે અસમિયા સંસ્કૃતિ તથા સભ્યતા તેની મૂળરૂપથી વિછિન્ન થઈ ગઈ હતી. પ્રગતિશીલ વિશ્વની સાહિત્યિક તથા સાંસ્કૃતિક ધારાથી અસમ પ્રત્યક્ષ સંપર્કમાં ન હતું. તેવા સમયે તેમણે પોતાની પ્રતિભાથી અસમની જનતાને એક નવી દૃષ્ટિ આપી અને વિશ્વમાં અસમની સંસ્કૃતિને ઉજાગર કરી. આમ જ્યોતિ પ્રસાદની બહુયામી અને વિલક્ષણ પ્રતિભાને લીધે તેમને એક હજાર સાલના ‘દસ શ્રેષ્ઠ અસમિયા’માં સ્થાન મળેલું છે. તેઓએ માત્ર 14 વર્ષની ઉંમરે ‘શોણિત કુંવરી’ નાટકની રચના કરી, જેમાં ઉષા-અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે. વળી, રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં નવીનતા લાવવા બદલ અને વળી મૂળે મારવાડથી પરિવાર આવ્યો હોવાથી તેમને ‘રૂપકુંવર’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના તેમનાં અનેક ગીતોમાં મુખરિત થાય છે. તેમનાં ગીતો શૌર્યને ઉત્તેજિત કરનારાં પણ હોય છે. અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજી તેમાં લયમાધુર્ય પણ બક્ષ્યું છે. તેમનાં કાવ્યોને ‘જ્યોતિસંગીત’ નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે, તેમણે 10 નાટકો અને લગભગ એટલી જ વાર્તાઓ, એક નવલકથા, 20થી અધિક નિબંધો તથા 359 ગીતોનું સંકલન કર્યું છે. ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. આ ઉપરાંત ત્રણ-ચાર હિન્દી ગીતો તથા અંગ્રેજી નાટકો પણ લખ્યાં છે. અસમ સરકાર દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિને ‘શિલ્પી દિવસ’ તરીકે ઊજવે છે. ત્યારે પૂરા અસમમાં રજા પળાય છે. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.
રાજશ્રી મહાદેવિયા
