આંગણવાડી


જાણીતા બાળકેણવણીકાર ગિજુભાઈ બધેકાની દૃષ્ટિએ ‘બાલમંદિર’નું વિકસિત અને વ્યાપક સ્વરૂપ.

ગિજુભાઈનાં સાથી અને મહારાષ્ટ્રનાં વિખ્યાત બાળકેળવણીકાર તારાબહેન મોડકે ૫૦ વર્ષ પહેલાં એનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં પણ એ વિચાર સ્વીકારાયો. જુગતરામભાઈ દવેએ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની સ્થાપના કરી અને તે ઉત્તમ રીતે ચલાવી. આંગણવાડીમાં બાળકના છ વર્ષ સુધીના વયગાળામાં માનસિક, ભાવાત્મક અને ક્રિયાત્મક – એમ સર્વાંગી વિકાસનો ખ્યાલ રહેલો છે. કેટલાક એને પૂર્વપ્રાથમિક શિક્ષણ રૂપે પણ ઓળખે છે. બાળકના વ્યક્તિત્વનો પાયો છ વર્ષની ઉંમર સુધીમાં નંખાઈ જાય છે એવો ખ્યાલ દુનિયાભરમાં સ્વીકાર પામ્યો છે. એટલે રમતો, ગીતો, નૃત્યો, ચિત્રો જેવી વિવિધ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી આંગણવાડીની વિભાવના છે. મોટા ભાગની આંગણવાડીઓ ગ્રામસ્તરે હોઈ બાળક્રીડાંગણનો ખ્યાલ પણ વિકસ્યો. સ્વરાજ પછી ગુજરાતમાં મનુભાઈ પંચોળીએ બાળશિક્ષણની સતત હિમાયત કરી અને બાળકેળવણીને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (Master Key) તરીકે ઓળખાવી. આંગણવાડીમાં (કે બાળમંદિરમાં) અક્ષરજ્ઞાન કે ગણિત શીખવવાનો હેતુ નથી, પરંતુ બાળકની ક્રિયાશક્તિ, તેનાં ભાવાત્મક પાસાંઓ અને તેનો જ્ઞાનપ્રાપ્તિનો પાયો દૃઢ બને એ ઉદ્દેશ છે.

સ્વરાજ આવ્યા પછી પણ વ્યાપક રૂપમાં આંગણવાડીનો ખ્યાલ સ્વીકારાયો ન હતો. ૧૯૭૫થી કેન્દ્ર સરકારે ‘સંકલિત બાળવિકાસ યોજના’ (Integrated Children’s Development Scheme – ICDS) દ્વારા માતા અને શિશુની જાળવણી, કાળજી અને વિકાસની દૃષ્ટિએ યોજના અમલમાં મૂકી. દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી આવાં કેન્દ્રો સ્થપાયાં છે. તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે. જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત અને દૃષ્ટિવાળી હોય છે ત્યાં બાળકેળવણીનું કામ વધુ નક્કર રીતે થાય છે. માતૃકલ્યાણ, પ્રસૂતિમાં કાળજી, બાળઉછેર, બાળકનું પોષણ અને છ વર્ષ સુધીનાં બાળકો માટેની કેળવણીની આ સંકલિત યોજનામાં આજે આરોગ્ય અને પોષણની કાળજી વધુ લેવાય છે. જોકે આંગણવાડીમાં બાળશિક્ષણ અંગે પણ પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંગણવાડી, પૃ. 140)