દીવ


સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42´ ઉ. અ. અને 70° 59´ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી આશરે 72,000 (2026) છે. ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે. અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દીવ/)