રામ રાઘોબા રાણે


જ. 26 જૂન, 1918 અ. 11 જુલાઈ, 1994

પરમવીરચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેનો જન્મ કર્ણાટકના હાવેરીમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ થયું હતું. તેઓ 1930માં અસહકારની લડતમાં જોડાયા આથી પિતાએ તેમને ચેન્ડિયા મોકલ્યા. તેઓ 10 જુલાઈ, 1940ના રોજ બૉમ્બે સેપર્સ રેજિમેન્ટમાં જોડાયા. તેમને જાપાનીઓ સામે લડવા માટે બથીડોંગ મોકલવામાં આવ્યા. બ્રિટિશ સેનાએ પીછેહઠ કરવી પડી ત્યારે બ્રિટિશ ડિવિઝનના કમાન્ડરે તેમને બથીડોંગ રહેવાનું કહ્યું. તેમને દુશ્મનોના શસ્ત્રસરંજામ અને વાહનોનો નાશ કરવાનો હતો એ પછી બ્રિટિશ નૌકાદળના જહાજમાં તેમણે આવવાનું હતું, પરંતુ બ્રિટિશ જહાજો ન આવતાં તેમણે જંગલમાં જાપાનીઓને હાથતાળી આપી ટુકડીને હેમખેમ બહાર લાવ્યા. આથી અંગ્રેજોએ તેમને હવાલદાર તરીકે બઢતી આપી. આઝાદી પછી ભારતીય સેનામાં તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. રાજૌરીને મુક્ત કરવા માટે નૌશેરાથી નીકળેલી ટુકડીમાં રામ રાણે પણ હતા. નદપુર પહોંચતા દુશ્મનોએ તોપમારો ચલાવ્યો. રામ અને તેમના સાથીદારોએ રસ્તામાં બિછાવેલી સુરંગોને નિષ્ક્રિય કરી. રસ્તામાં મૂકવામાં આવેલાં પથ્થરો અને વૃક્ષો દૂર કર્યાં. આ દરમિયાન રામ જમણા પગે જખમી થયા છતાં પોતાની ફરજમાંથી ચલિત ન થયા. તેમણે મોડી રાત સુધી સુરંગોને શોધવાનું અને નિષ્ક્રિય કરવાનું કામ ચાલુ રાખ્યું. રામ સ્ટુઅર્ટ ટૅન્કરના બે કેટરપિલર પટ્ટા વચ્ચેની જગ્યામાં છાતીસરસા સૂઈ ગયા અને પછી ધીરે ધીરે ટૅન્ક ચલાવડાવી. ટૅન્ક આગળ વધતાં પોતે બે હાથથી શરીરને ખેંચીને આગળ વધતા રહ્યા અને સુરંગોનો નાશ કરતા રહ્યા. આમ, તેમણે રાજૌરીને કબજે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કલાકો સુધી આરામ અને ભોજન વગર સતત કામ કર્યું હતું. તેમને 14 જાન્યુઆરી, 1950ના રોજ લેફ્ટનન્ટ અને 14 જાન્યુઆરી, 1954ના રોજ કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી હતી. 25 જૂન, 1968ના રોજ મેજરના પદ પરથી નિવૃત્ત થયા. યુદ્ધમાં કરેલી અદ્વિતીય કામગીરી માટે તેમને 8 એપ્રિલ, 1948ના રોજ પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.