રજનીકુમાર પંડ્યા


જ. 6 જુલાઈ, 1938 અ. 15 માર્ચ, 2025

ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો. બાળપણ બીલખામાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1959માં બી.કૉમ. અને 1966માં બી.એ.ની પદવી મેળવી હતી. 1959-1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું હતું. ‘ઝબકાર’, ‘મનબિલોરી’ તથા ‘ગુલમહોર’ તેમની લોકપ્રિય કટારો હતી. ‘ખલેલ’, ‘આત્માની અદાલત’ વાર્તાસંગ્રહ અને ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’, ‘અવતાર’, ‘કુંતી’ (ભાગ 1-2) તેમની જાણીતી નવલકથાઓ છે. તેમણે સાત નવલકથાઓ આપી, જેમાંથી અડધાથી વધુ પરથી ટીવી ધારાવાહિક કે નાટક બન્યાં છે. ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે હિન્દી ધારાવાહિકો બની. ‘અવતાર’ પરથી અરવિંદ જોષીએ ‘આયના તૂટે તો બને આભલાં’ નાટક બનાવ્યું હતું. ‘પરભવના પિતરાઈ’ પરથી ટેલિફિલ્મ બની હતી. તેમની વાર્તા ‘આકાશમાં છબી’ પરથી WHO માટે ટેલિફિલ્મ બની હતી. તેમની નવલિકાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ‘ભાત ભાત કે લોગ’ના ઘણા એપિસોડ બનાવ્યા હતા. તેમને કવિ પ્રદીપ અને ગાયક જગમોહન સાથે ગાઢ સંબંધ હતો. ‘આપકી પરછાંઈયાં’ કલાકારો સાથેનાં સંસ્મરણો આધારિત છે. તેમણે જ્યુથીકા રૉય અને ‘રુસ્વા’ મઝલૂમીની ડૉક્યુમેન્ટરીનું નિર્માણ તેમજ ઉપેન્દ્ર ત્રિવેદીનું બહુરંગી તસવીરો સહિત આત્મકથન અને અન્ય આલેખ સંપાદિત કર્યું હતું. બંધ પડેલ સામયિક ‘વીસમી સદી’નું ડિજિટલાઇઝેશન કરવામાં ફાળો આપ્યો હતો. તેમણે ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકી અનુવાદને સાંગીતિક સ્વરૂપ આપ્યું હતું. તેમની કૃતિઓ હિન્દી, અંગ્રેજી, સીંધી, મરાઠી, તમિલ અને જર્મન વગેરે ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો, સરોજ પાઠક ઍવૉર્ડ, ધૂમકેતુ ઍવૉર્ડ, સવિતા વાર્તાસ્પર્ધામાં બે સુવર્ણચંદ્રકો, કુમાર સુવર્ણચંદ્રક, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.