જ. 7 જુલાઈ,1914 અ. 31 મે, 2003

હિન્દી ફિલ્મસંગીતના ભીષ્મ પિતામહ શ્રી અનિલનું બાળપણ સતત સંઘર્ષમાં વીત્યું હતું. આઝાદીની ચળવળના દિવસો દરમિયાન તેમના હાથમાં કલમ કે વાદ્ય ને બદલે પિસ્તોલ હતી. મૅટ્રિકની પરીક્ષાના પંદર દિવસ પહેલાં જ તેમણે પિતાજી ગુમાવ્યા છતાં તેઓ બે ડિસ્ટિંકશન સાથે ઉત્તીર્ણ થયા. અનેક મુશ્કેલીઓ વેઠી તેઓ કૉલકાતા પહોંચ્યા. હોટલમાં વાસણ માંજી પેટજોગું રળી લેતા. મનોરંજન સરકાર નામના જાદુગર સાથે તેમની ઓળખાણ થઈ અને તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું. તેમની આ શક્તિ ખીલવવામાં તેમનાં માતા યામિની, પંડિત લાલમોહન ગોસ્વામી અને કાઝી નઝરૂલ ઇસ્લામનો મોટો ફાળો રહ્યો. અનિલનાં માતા ભજનો ગાવાની સાથે ઉપશાસ્ત્રીય સંગીત પણ ગાતાં, જેની અસર અનિલ દાના સંગીતમાં જોઈ શકાય છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને પશ્ચિમી સંગીતના સાયુજ્ય થકી અદ્ભુત તરજો રચી. કૉલકાતાના રંગમહલ થિયેટરમાં સંગીતસહાયક અને ગાયક તરીકે કામ કર્યું. 1930થી 1934 સુધી નાટકો માટે સંગીતનિયોજન કર્યું. ખયાલ, ઠૂમરી, દાદરા વગેરે સાથે તેમણે કીર્તન સંગીતમાં નિપુણતા મેળવી. હિન્દુસ્તાન રેકૉર્ડિંગ કંપનીમા તેમણે કુંદનલાલ સહગલ અને એસ. ડી. બર્મન સાથે કામ કર્યું. 1934 પછી તેઓ મુંબઈ આવ્યા અને ઈસ્ટર્ન આર્ટ પ્રોડક્શનમાં જોડાયા. ‘બાલહત્યા’ અને ‘ભારત કી બેટી’ ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ધરમકી દેવી’(1935)માં તેમણે ‘કુછ ભી નહીં ભરોસા’ ગીત ગાયું અને અભિનય પણ કર્યો. ઘણી બધી સ્ટંટ ફિલ્મો સિવાય તેમણે ‘ગ્રામોફોન સિંગર’ (1938), ‘રોટી’ (1942), ‘અલીબાબા’ (1940), બૉમ્બે ટોકીઝની ‘હમારી બાત’ (1943), ‘જ્વાર ભાટા’ (1944), ‘લાડલી’ (1949), ‘આરઝૂ’ (1950) વગેરેમા સફળ સંગીતસંચાલન કર્યું હતું. ‘સીનેમે સુલગતે અરમા’ (તરાના), ‘દૂર હટો એ દુનિયા વાલો’ (કિસ્મત) ગીતો યાદગાર રહ્યાં. 1961માં મુંબઈ છોડ્યા બાદ ઓલ ઇન્ડિયા રેડિયો(દિલ્હી)માં જોડાયા અને પ્રખ્યાત ટીવી સિરિયલ ‘હમલોગ’(1984)માં પાર્શ્વ સંગીત આપ્યું. 1986માં તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીજલ બુટાલા
