જ. 8 જુલાઈ, 1937 અ. 9 ફેબ્રુઆરી, 2020

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક ગિરિરાજ કિશોરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં થયો હતો. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં જુદાં પદ પર કાર્ય કર્યું. તેઓ 1964થી 1966 સુધી અલાહાબાદમાં રહ્યા અને લેખનકાર્ય કર્યું હતું. તેમણે 1966થી 1975 સુધી કાનપુર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર અને 1975થી 1983 સુધી રજિસ્ટ્રાર તરીકે કાર્ય કર્યું હતું. 1983થી 1997 સુધી તેમણે કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સર્જનાત્મક લેખન તથા પ્રકાશન કેન્દ્રના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેમણે હિન્દી સામયિક ‘આકાર’ના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે નવલકથા, નવલિકા, નાટક અને નિબંધક્ષેત્રે સર્જન કર્યું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો પર આધારિત નવલકથા ‘પહલા ગિરમિટિયા’થી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. ‘લોગ’, ‘ચિડિયાઘર’, ‘યાત્રાએં’, ‘જુગલબંધી’, ‘ઢાઈ ઘર’ નવલકથાઓ; ‘વલ્દ રોજી’, ‘યહ દેહ કિસકી હૈ’, ‘નીમ કે ફૂલ’, ‘પેપરવેટ’ નવલિકા સંગ્રહો; ‘ચહેરે-ચહેરે કિસકે ચહેરે’, ‘પ્રજા હી રહને દો’, ‘જુર્મ આયદ’, ‘પાગલ ઘર’ નાટકો તથા ‘સંવાદસેતુ’, ‘લિખને કા તર્ક’, ‘સરોકાર’ નિબંધસંગ્રહો વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેઓ સાહિત્ય અકાદમીની કાર્યકારી સમિતિ અને ભારત સરકારના રેલવે બોર્ડના સભ્ય હતા. તેમના સમૃદ્ધ સાહિત્યસર્જન માટે તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2002માં છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીએ તેમને માનદ પીએચ.ડી.ની પદવી આપી હતી. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, વ્યાસ સન્માન, મહાત્મા ગાંધી સન્માન, ભારતેન્દ્ર સન્માન, બીરસિંહ દેવજી સન્માન, સાહિત્યભૂષણ, શતદલ સન્માન વગેરે પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે 2007માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાંના માર્ગનું તેમના નામ પરથી ‘પદ્મશ્રી ગિરિરાજ કિશોર માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું છે.
અનિલ રાવલ
