દેલવાડાનાં મંદિરો


સોલંકીકાળ દરમિયાન ગુજરાતના મંદિરસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતાં છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ. સં. 1088(ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી તદ્દન સાદાં છે અને તેમની ઉપરના આચ્છાદન સાદા ફાસના ઘાટનાં છે. નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીના સ્તંભો અને છતોમાં ખૂબ જ સુંદર કોતરણી કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમજ મૂળનાયક-આદિનાથની પ્રતિમા પણ ઈ. સ. 1322ના જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપ આગળની ષટ્ચોકી(છ ચોકી)ની રચના વિમલના કુટુંબી ચહિલ્લે કરાવી હોય તેમ જણાય છે. આ છ ચોકીનું નવચોકીયા રૂપાંતર કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધારના સમયે (ઈ. સ. 1150) કરાવ્યું હોય એમ જણાય છે. આ જ પૃથ્વીપાલે મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય(ઈ. સ. 1144-1187)માં બંધાઈ હતી. હસ્તિશાલાને ચાર દ્વાર છે.

પૂર્વના દ્વારે બે મોટાં દ્વારપાલનાં શિલ્પો છે અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની અંદર સામે જ અશ્વારુઢ વિમલમંત્રીની છત્રધારી મૂર્તિ છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સમવસરણ છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખો આવેલા છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સમવસરણ, સાધુ-સાધવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિ યુદ્ધ, પંચકલ્યાણક, કાલીયમર્દન, નૃસિંહ, સરસ્વતી, લક્ષ્મી, 56 દિક્કુમારિકાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દેલવાડાનાં મંદિરો/)