જ. 27 જુલાઈ, 1801 અ. 2 જાન્યુઆરી, 1892

વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી જ્યોર્જ બિડેલ ઍરીનો જન્મ ઍલનવીક, નોર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ હેરફૉર્ડમાં અને ત્યારપછી કોલચેસ્ટર રૉયલ ગ્રામર સ્કૂલમાં લીધું. તેર વર્ષની વયે તેઓ ઘણી વાર તેમના કાકા આર્થર બિડેલને ત્યાં રહેવા જતા. ત્યાં કાકાના મિત્ર થોમસ કાર્લસનના પરિચયમાં આવ્યા. કાર્લસન ટ્રિનિટિ કૉલેજ, કેમ્બ્રિજમાં ફેલો હતા તેથી તેમની ઓળખાણથી જ્યોર્જ ઍરી 1819માં ટ્રિનિટિ કૉલેજમાં દાખલ થયા. 1822માં તેઓ ટ્રિનિટિ કૉલેજના સ્કૉલર તરીકે ખ્યાતિ પામ્યા. તેમને સિનિયર રેંલ્ગર અને સ્મિથ પ્રાઇસનું ઇનામ મળ્યું. 1 ઑક્ટોબર, 1824માં તેઓ ટ્રિનિટિ કૉલેજના ફેલો બન્યા. ડિસેમ્બર, 1826માં તેમને ‘લુકેસિયન પ્રોફેસર ઑફ મૅથેમૅટિક્સ’ની પદવી મળી. 1828ના ફેબ્રુઆરી મહિનામાં તેઓ ‘પ્લુમિયન પ્રોફેસર ઑફ ઍસ્ટ્રૉનૉમી’ અને ‘ન્યૂ કેમ્બ્રિજ ઑબ્ઝર્વેટોરી’ના ડિરેક્ટર બન્યા. 1836માં તેઓ ફેલો ઑફ ધ રૉયલ સોસાયટી તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ 1840માં ‘ધ રૉયલ સ્વીડીશ એકૅડેમી ઑફ સાયન્સીસ’ના સભ્ય બન્યા અને 1859માં ‘ધ રૉયલ નેધરલૅન્ડ્સ એકૅડેમી ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સીસ’ના સભ્ય બન્યા. તેમની તીવ્ર બુદ્ધિપ્રતિભાથી તેઓ સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી બન્યા અને 46 વર્ષના લાંબા ગાળા સુધી આ સ્થાન શોભાવ્યું. રાજ્યની ગ્રિનિચ વેધશાળાના આધુનિકીકરણ માટે તેઓ ખ્યાતિ પામ્યા હતા. 1838માં શાહી નૌકાદળ માટે નાવિકના માર્ગદર્શન માટેના હોકાયંત્રમાં રહેલી ક્ષતિના નિવારણ માટેની પદ્ધતિ તેમણે વિકસાવી. પ્રકાશના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આંખની ‘ઍસ્ટિગમૅટિઝમ’ ખામી નળાકાર દૃગ્કાચ વાપરીને સુધારી શકાય તેવું તેમણે 1827માં જણાવ્યું હતું. બિંદુમય પ્રકાશ-ઉદ્ગમ વડે નીપજતી વિવર્તન ભાતમાં દેખાતા મધ્યસ્થ પ્રકાશબિંબને તેમના નામ પરથી ‘ઍરીબિંબ’ નામ આપવામાં આવેલું છે. તેમને 1823માં સ્મિથ પ્રાઇઝ, 1831માં કોપ્લે મેડલ, 1833/1846માં રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ગોલ્ડ મેડલ, 1834માં લલાન્ડે પ્રાઇઝ, 1845માં રૉયલ મેડલ અને 1876માં આલ્બર્ટ મેડલ એનાયત થયેલા. 1872માં બ્રિટિશ સરકારે તેમને ‘નાઇટહૂડ’(સર)ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.
રાજશ્રી મહાદેવિયા
