જ. ૫ ઑગસ્ટ, ૧૯૩૮ અ. ૨૮ માર્ચ, ૨૦૨૫

કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામે રામચંદ્ર પાઠક અને મોંઘીબહેનને ત્યાં થયો હતો. વતન ભોળાદ. ૧૯૫૬માં મૅટ્રિક થયા. ૧૯૬૧માં બી.એસસી. થયા બાદ ૧૯૬૧-૬૨ દરમિયાન સોનગઢ(સૌરાષ્ટ્ર)ના ગુરુકુળના વિજ્ઞાનશિક્ષક થયા. ૧૯૬૩થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલવિભાગમાં મદદનીશ તરીકે જોડાયા ને ત્યાંથી જ નાયબ સચિવ તરીકે ૧૯૯૬માં સેવાનિવૃત્ત થયા. તેમને નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. ૧૯૬૬થી કાવ્યલેખન શરૂ થયેલું. ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ. આ ઉપરાંત ‘અડવા પચીસી’, ‘જળના પડઘા’, ‘રાઈનાં ફૂલ’, ‘ઘટના ઘાટે’ જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) જે તે લેખકોની લાક્ષણિકતાઓને હળવી રીતે રજૂ કરતી ૭૨ કડીઓની પુસ્તિકા છે. એમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’ નામે પ્રસિદ્ધ થઈ છે. ‘મોર બંગલો’(૧૯૮૮)માં ૨૧ વાર્તાઓ છે તો ‘નટુભાઈને તો જલસા છે’(૨૦૦૮)માં ૧૨ વાર્તાઓ છે. તેમની ‘સમળો’ જેવી વાર્તાઓ વિશિષ્ટ છે. ‘અંગત અને સંગત’ (૨૦૦૯) એ લલિતનિબંધનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૮) એ કિશોરભોગ્ય કથા છે. તેમણે ‘કોઈનું કંઈ ખોવાય છે’ અને ‘હલ્લો-ફલ્લો’ એ બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંતનાં બાળકાવ્યો તથા આ સંગ્રહનાં કાવ્યો ‘ચણ ચણ ચકલી ચણાની દાળ’(૨૦૨૧)માં સંગૃહીત થયાં છે. આમ તેમની પાસેથી શુદ્ધ અને સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. તેમનું સંપાદનક્ષેત્રે પ્રદાન પણ નોંધપાત્ર છે. બાલમુકુન્દ દવેના સમગ્ર સાહિત્યને ચાર ભાગમાં સંપાદિત કર્યું છે. આ ઉપરાંત અનેક સંપાદનોમાં સહસંપાદક તરીકે ભૂમિકા ભજવી છે. ‘ગલીને નાકેથી’ (૧૯૯૩) તેમનો સાહિત્યવિવેચનનો સંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો મળ્યા હતા. આ ઉપરાંત ૧૯૬૭માં ‘કુમારચંદ્રક’, ‘જળના પડઘા’ માટે નર્મદચંદ્રક તથા ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ૨૦૧૦માં ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ૨૦૧૧માં દલપતરામ ઍવૉર્ડ અને ૨૦૧૩માં નરિંસહ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંધીનગરમાં તેમનું અવસાન થયું હતું.
શ્રદ્ધા ત્રિવેદી
