જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.
નલિની દેસાઈ
