ધર્મ દીવાલ નથી, દ્વાર છે


ધર્મને મુક્તિનું દ્વાર બનાવવાને બદલે બાહ્યાડંબરની દીવાલ બનાવી દીધો છે. જ્યાં મુક્ત ગગનમાં વિહરવાની પાંખો હોવી જોઈએ, ત્યાં ઘરની ચાર દીવાલને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. પુષ્પોથી સજાવવામાં આવે છે. એના પર કમનીય કલાકૃતિઓ મૂકવામાં આવે છે, પરંતુ આવી બાહ્ય ઉપાસનામાં ધર્મ સીમિત થઈ જાય છે અને પછી દીવાલને જોનારો જીવનભર એ દીવાલની પૂજા, પ્રતિષ્ઠા અને એના પર સતત અનુષ્ઠાન કર્યા  કરે છે. સમય જતાં ઇમારત ભુલાઈ જાય છે અને દીવાલની ઈંટોની પૂજા થાય છે. આચરણ અને અપરિગ્રહ વિસરાઈ જાય છે અને ધનવૈભવ અને પરિગ્રહની પ્રશસ્તિ રચાય છે. ધર્મનું દ્વાર તો મુક્તિનું દ્વાર છે. એની પાસે પ્રેમનું જગત અને મૈત્રીનું આકાશ છે, પરંતુ ધર્મ જો દ્વારને બદલે દીવાલ બની જાય તો એમાં અવરોધ આવશે અને એ અવરોધને કારણે પ્રગતિ અટકી જશે. જો એ દીવાલ બને તો એમાં જડતા આવશે અને જડતાને કારણે બાહ્ય ક્રિયાકાંડો વધતાં જશે અને આંતરિક શૂન્યતા સર્જાતી જશે. ધર્મ જો દીવાલ બને તો સાધકના જીવનમાં વ્યર્થતા આવશે, કારણ કે એને  ક્યાંયથી નવો પ્રકાશ નહીં મળે અને સમય જતાં ધર્મને દીવાલ બનાવનારા એને દુકાન બનાવી દેશે. ધર્મ એ તો દ્વાર છે, જેમાં સાધક વિરાટ ગગનને આલિંગન કરે છે. હસતી પ્રકૃતિને પોતાના સાથમાં લે છે અને એમાંથી પ્રેમ, મૈત્રી અને કરુણા પ્રગટાવે છે. મહાવીર હોય કે બુદ્ધ, રામ હોય કે કૃષ્ણ – કોઈનાય જીવનમાં ધર્મ અવરોધરૂપ બન્યો નથી, બલકે ધર્મના દ્વારેથી સાધનાના માર્ગે નીકળીને એણે માનવીને સર્વોચ્ચ લક્ષની ઝાંખી કરાવી છે.