હેમુ ગઢવી


જ. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૬૫

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિપ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાના પગારે જોડાયા હતા. જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડું મુજને પ્યારું ગોકુળ’ પ્રથમ ગીત ગાયું હતું. જામનગર શહેરમાં ભજવાયેલ ‘રાણકદેવી’ નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને ‘રાણકદેવી’ ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ-કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા. તેમણે છેક ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. હેમુ ગઢવી ૧૯૫૫માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા. ૧૯૬૫ સુધીના તેમના દસ વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા ‘કાગ’નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું. એચ.એમ.વી. કંપનીએ હેમુ ગઢવીની ‘અમે મહિયારા રે, ‘શિવાજીનું હાલરડું’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી રેકર્ડ બહાર પાડી હતી. જે આજપર્યંત લોકોનાં માનસપટ ઉપર છવાયેલી રહી છે. આ ઉપરાંત તેમણે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં યાદગાર નાટકો કર્યાં હતાં. હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ અને એક ઑડિટોરિયમને હેમુ ગઢવી હૉલ નામ આપવામાં આવ્યું છે. માત્ર ૩૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે.