દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.
એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’
કુમારપાળ દેસાઈ
