મહારાજા રણજિતસિંહ


જ. 13 નવેમ્બર, 1780 અ. 27 જૂન, 1839

પંજાબમાં શીખ સામ્રાજ્યના સ્થાપક અને ‘શેર-એ-પંજાબ’ તેમજ ‘પંજાબકેસરી’ તરીકે ઓળખાતા મહારાજા રણજિતસિંહનો જન્મ ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના તેઓ મુખી એટલે કે નાયક બન્યા હતા. આ સુકર ચકિયા મિસલ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશ પર સત્તા ધરાવતી હતી, જેમાં ગુજરાનવાલા નગર આસપાસના પ્રદેશનો સમાવેશ થતો હતો. મહારાજા રણજિતસિંહે જુલાઈ, 1799માં પંજાબનું પાટનગર લાહોર જીતી લીધું હોવાથી અફઘાનિસ્તાનના શાસક ઝમાનશાહે તેમને ગવર્નર તરીકે નીમ્યા હતા, પરંતુ તેમણે પોતાને પંજાબના મહારાજા તરીકે જાહેર કર્યા હતા. તેમણે ગુરુનાનક તથા ગુરુ ગોવિંદસિંહના નામના સિક્કા પડાવ્યા અને શીખ રાષ્ટ્રમંડળના નામથી રાજ્યનો વહીવટ કરવા માંડ્યો હતો. 1802માં તેમણે શીખોનું પવિત્ર યાત્રાધામ અમૃતસર જીતી લીધું હતું અને ત્યારબાદ પંજાબમાં આવેલી શીખ અને અફઘાનોની જાગીરો કબજે કરવા માંડી હતી. તેથી પૂર્વ તરફની એમની આગેકૂચ અંગ્રેજોએ અટકાવી હતી. 25 એપ્રિલ, 1809ના રોજ અંગ્રેજો સાથે થયેલ સંધિ મુજબ સતલજ નદીની પૂર્વના પ્રદેશોનો દાવો તેમણે જતો કર્યો હતો અને સતલજની દક્ષિણે આવેલી 45 જાગીરો તેમણે અંકુશમાં લીધી હતી. રણજિતસિંહનો મુખ્ય હેતુ યુદ્ધો દ્વારા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાનો હતો, તેથી તેમણે ગુરખાઓ પાસેથી કાંગડા અને અફઘાનો પાસેથી મુલતાન જીતી લીધું હતું. 1819માં કાશ્મીર જીતી લીધા બાદ અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ શાસક શાહ સુજાને રાજ્યાશ્રય આપીને તેની પાસેથી જગપ્રસિદ્ધ  કોહિનૂર હીરો પડાવી લીધો હતો અને ત્યારબાદ વાયવ્ય સરહદે પેશાવર જીતી લીધા બાદ તેને ખાલસા કર્યું અને 1834માં તેમણે લડાખ પણ જીતી લીધું હતું. મહારાજા રણજિતસિંહ, સર્વસત્તાધીશ શાસક હોવા છતાં તેમણે વહીવટ કરવા માટે મંત્રીમંડળ રાખ્યું હતું. તેઓ લોકોની સુખાકારીની ખૂબ કાળજી લેતા હતા. તેમણે લાહોર અને અમૃતસરમાં તોપો, બંદૂકો, કારતૂસો અને દારૂગોળો બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. તેમણે અન્ય ધર્મીઓને રાજ્યમાં ઊંચા હોદ્દા પર નીમ્યા હતા. તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ સેનાપતિ હોવા છતાં પોતાને ‘ખાલસા’ના પ્રથમ સેવક માનતા હતા.