કર્પૂરી ઠાકુર


જ. 24 જાન્યુઆરી, 1921 અ. 17 ફેબ્રુઆરી, 1988

સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી નેતા કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૈંઝિયા ગામમાં થયો હતો. આ ગામ હવે ‘કર્પૂરીગ્રામ’ કહેવાય છે. પિતા ગોકુલ ઠાકુર અને માતા રાજદુલારી દેવી. તેમણે 1940માં મૅટ્રિકની પરીક્ષા પટના વિશ્વવિદ્યાલયમાંથી પાસ કરી. 1942માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા. 26 મહિનાની જેલ ભોગવી 1945માં મુક્ત થયા. 1948માં સમાજવાદી પક્ષના પ્રાદેશિક મંત્રી બન્યા. 1952માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી. એ પછી મૃત્યુપર્યંત એમણે સતત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. 1967માં તેમના નેતૃત્વમાં સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી મોટી પાર્ટી બની. તેઓ 1970માં બિહારના મુખ્યમંત્રી બન્યા. 1973માં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિય બન્યા. 1977માં લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા. તેઓ બે વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમણે દલિત અને વંચિત વર્ગને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે પછાત જાતિઓને 12% અનામત આપી. તેમણે મૅટ્રિકની પરીક્ષા માટે અંગ્રેજીની અનિવાર્યતા રદ કરી હતી. તેમણે રાજ્યના બધા જ વિભાગોમાં હિન્દી ભાષામાં કામ કરવાનું ફરજિયાત કર્યું હતું. તેઓ લોકહૈયામાં ‘જનનાયક’ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા. તેમના જીવનમાં સાદગી અને પ્રામાણિકતા હતી. પટનામાં સરકાર ધારાસભ્યોને સસ્તા દરે જમીન આપવાની હતી ત્યારે તેમણે જમીન લેવાની ના પાડી હતી. લાંબી રાજકીય કારકિર્દી પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમની પાસે પોતાનું પાકું મકાન કે મોટું બૅન્ક બૅલેન્સ નહોતું. 23 જાન્યુઆરી, 2024ના રોજ ભારત સરકારે તેમને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કર્યા હતા. તેમની સ્મૃતિમાં ટપાલ ખાતાએ 1991માં એક રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.